top
Vadodara News: સાવલીના રાણીપુરામાં રૂ. 4 કરોડનું મનરેગા કૌભાંડ! મીડિયા રિપોર્ટ બાદ TDOએ તપાસના આદેશ આપ્યા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા રાણીપુરા ગામે મનરેગા (MNREGA) યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યો છે. મીડિયા અહેવાલોમાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ સાવલી તાલુકા વિકાસ અધિકારીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. TDOએ આ સમગ્ર ગેરરીતિની તટસ્થ તપાસ કરાવવાની અને દોષિતો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. 300 થી વધુ બોગસ જોબ કાર્ડ બનાવી નાણાં ઉપાડી લેવાયા ગ્રામજનોના આક્ષેપ મુજબ, ગામના 300 થી વધુ લોકોની જાણ બહાર તેમના નામે નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. કૌભાંડીઓએ અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી; જેમાં જોબ કાર્ડમાં ગામના સાચા શ્રમિકોના નામ રાખવામાં આવ્યા હતા, પરંતુ ફોટોગ્રાફ્સ અન્ય અજાણ્યા વ્યક્તિઓના લગાવી દેવાયા હતા. શ્રમિકોએ કોઈ કામ કર્યું ન હોવા છતાં તેમના ખાતામાંથી કાગળ પર મજૂરી દર્શાવીને રકમ ઉપાડી લેવામાં આવી હતી. વર્ષ 2018 થી 2026 દરમિયાન આચરાયું મોટું કૌભાંડ રાણીપુરા ગામમાં આ ગેરરીતિ કોઈ એકાદ વર્ષની નથી, પરંતુ વર્ષ 2018 થી 2026 ના લાંબા સમયગાળા દરમિયાન સતત આચરેલું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. આ 8 વર્ષના ગાળામાં આશરે રૂ. 3 થી 4 કરોડની જંગી રકમની ઉચાપત થઈ હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મજૂરોના બદલે મશીનથી તળાવનું ખોદકામ અને માટી વેચાણનો આક્ષેપ નિયમ મુજબ મનરેગા યોજના હેઠળ ગામના ગરીબ શ્રમિકોને રોજગારી આપવાની હોય છે, પરંતુ રાણીપુરામાં શ્રમિકોના બદલે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગામના તળાવનું આશરે 60 ફૂટ જેટલું ઊંડું ખોદકામ જેસીબી અને હિટાચી જેવા ભારે મશીનોથી કરાવવામાં આવ્યું હતું અને કાગળ પર મજૂરોના નામે માતબર રકમ ઉપાડી લેવાઈ હતી. એટલું જ નહીં, તળાવ ખોદકામ દરમિયાન નીકળેલી કિંમતી માટી પણ ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, TDO નો રિપોર્ટ તૈયાર કરાશે કૌભાંડનો ભાંડો ફૂટતાં જ મનરેગા યોજનાના તાલુકા કક્ષાના એસઓ સહિતના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાવલી TDO એ જણાવ્યા મુજબ, હાલ આ મામલે મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડ સહિત તમામ દસ્તાવેજોની બારીકાઈથી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ અંગેનો વિગતવાર અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે અને તપાસમાં જે કોઈ કર્મચારી કે વચેટિયા દોષિત જણાશે તેમની સામે કાયદેસરની તજવીજ હાથ ધરાશે. આ પણ વાંચો - Vaodara News : નેપાળ પ્રવાસે ગયેલું વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી
Read full article on Sandesh