politics
વેરાવળમાં BMSની આક્રોશ રેલી, ધરણાં:પડતર માંગણીઓ ન ઉકેલાય તો ગાંધીનગર-દિલ્હીમાં આંદોલનની ચીમકી
ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા વેરાવળમાં વિવિધ પડતર માંગણીઓના તાત્કાલિક નિરાકરણ માટે આક્રોશ રેલી અને ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. BMSના ગુજરાત પ્રદેશ મંત્રી નાના ગિરધર પાટીલની આગેવાની હેઠળ સેંકડો કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આક્રોશ રેલી વેરાવળ નગરપાલિકા ખાતેથી શરૂ થઈ સૂત્રોચ્ચાર સાથે પ્રાંત કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન કર્મચારીઓએ પોતાની માંગણીઓના સમર્થનમાં ઉગ્ર નારા લગાવ્યા હતા. બાદમાં પ્રાંત કચેરીના ગ્રાઉન્ડમાં ધરણાં યોજી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 'અમારી માંગણીઓ પૂરી કરો, નહીં તો ખુરશી ખાલી કરો' જેવા નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. ધરણાં બાદ પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર સુપરત કરાયું હતું. BMS દ્વારા સરકાર સાથે તાત્કાલિક અને પરિણામલક્ષી ત્રિપક્ષીય સંવાદ શરૂ કરવા તેમજ ટ્રેડ યુનિયનના કાયદેસર અને લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરાઈ છે. ઔદ્યોગિક વિવાદોના ઝડપી નિરાકરણ માટે 'અર્લી ઇન્ટરવેન્શન, કન્સિલિએશન, નેગોશિયેશન, સેટલમેન્ટ અને કમ્પ્લાયન્સ મોનિટરિંગ' જેવી વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની પણ રજૂઆત કરાઈ છે. સંગઠને દરેક પ્રકારના શ્રમિકોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવા, કોન્ટ્રાક્ટ, સ્કીમ, અસંગઠિત અને ગિગ વર્કરોના હક્કોનું રક્ષણ કરવા તેમજ 'સમાન કામ, સમાન વેતન'ના સિદ્ધાંતનો અસરકારક અમલ કરવાની માંગ કરી છે. BMS દ્વારા રાષ્ટ્રીય સ્તરે લઘુત્તમ વેતન માસિક રૂ.30,000 કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત, EPFની વેતન મર્યાદા રૂ.15,000 થી વધારી રૂ.30,000 અને ESICની મર્યાદા રૂ.21,000 થી વધારી રૂ.42,000 કરવાની પણ માંગ કરાઈ છે. EPS-95 હેઠળ રૂ.7,500 લઘુત્તમ પેન્શન ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો તથા તેમના જીવનસાથી માટે યોગ્ય તબીબી સુરક્ષાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. અન્ય માંગણીઓમાં બોનસની ગણતરી અને પાત્રતા માટેની વેતન મર્યાદામાં વધારો, છટણી, લોકઆઉટ, ક્લોઝર અને લેઓફના સંજોગોમાં શ્રમિકોને અસરકારક રક્ષણ તથા જોખમી ઉદ્યોગોમાં વ્યવસાયિક સુરક્ષાના કડક અમલનો સમાવેશ થાય છે. BMSના પ્રદેશ મંત્રી નાના ગિરધર પાટીલે જણાવ્યું હતું કે, કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ અંગે સરકાર સમક્ષ વર્ષોથી રજૂઆતો કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ અપેક્ષિત નિરાકરણ આવ્યું નથી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો સરકાર માંગણીઓનો સત્વરે સ્વીકાર નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. જરૂર પડ્યે ગાંધીનગર અને દિલ્હી ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar