crime
VMC અધિકારીઓ પહોંચતા જ પથારણાવાળામાં દોડધામ:શહેરના ખંડેરાવ માર્કેટ પાસે દબાણ હટાવવાયા, એક ટેમ્પો અને ટ્રક ભરીને સામાન જપ્ત
વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા રાખવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવી છે. જેના અંતર્ગત ઉત્તર ઝોનના વોર્ડ નંબર 13 વિસ્તારમાં વહેલી સવારના 6 વાગ્યાથી જ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન સ્થાનિક પથારણાવાળામાં દોડધામ મચી ગઇ હતી. પથારણાવાળા અને અધિકારીઓ વચ્ચે ક્ષણિક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. ફૂટપાથ પરના દબાણ દૂર કરવા ઝુંબેશ આ ઝુંબેશ દરમિયાન શહેરના અતિ વ્યસ્ત અને મુખ્ય એવા ખંડેરાવ માર્કેટથી લઈને જય રત્ન ચાર રસ્તા, દાંડિયા બજાર, કીર્તિ સ્તંભ તેમજ લાલકોર્ટ સુધીના સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ અને ફૂટપાથ પર કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ કમિશનર અને વોર્ડ ઓફિસર પોતે ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને કામગીરીનું સીધું સુપરવિઝન કર્યું હતું. એક ટેમ્પો અને ટ્રક ભરીને સામાન જપ્ત લારી-ગલ્લાં અને વેપારીઓ દ્વારા રસ્તા પર રખાયેલા સામાનને જપ્ત કરવાની કામગીરી દરમિયાન આશરે એક ટેમ્પો અને એક ટ્રક જેટલો મોટો જથ્થામાં સામાન જપ્ત કરીને કોર્પોરેશનની કચેરી ખાતે જમા લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક વિભાગના પી.આઈ. પણ ટીમ સાથે જોડાયા હતા. મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે સ્થાનિક વેપારીઓ તેમજ લારી-ગલ્લા ધારકોને કડક સૂચના આપી હતી કે ફૂટપાથ સંપૂર્ણપણે પાદચારીઓ માટે ખુલ્લી રાખવી અને રસ્તા પર કોઈપણ પ્રકારનું દબાણ કરવું નહીં, અન્યથા ભવિષ્યમાં પણ આવી જ રીતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિરોધ વચ્ચે કામગીરી ચલાવાઈ જોકે, આ કાર્યવાહી દરમિયાન એક તબક્કે સ્થાનિક વેપારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો. દબાણ હટાવવા આવેલી ટીમનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વહેલી સવારથી જ આવી કાર્યવાહી કરવાથી તેમની રોજગારી પર સીધી અસર પડે છે. વેપારીઓએ પોતાનો આક્રોશ ઠાલવતા અધિકારીઓને સવાલ કર્યો હતો કે, "જો અમારો સામાન જપ્ત કરી લેવામાં આવશે અને અમને અહીંથી હટાવી દેવાશે તો અમે ક્યાં જઈએ? અમારું અને અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીએ?" વેપારીઓના આ વિરોધ છતાં તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવીને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar