crime
વરાછા SBI લૂંટ કેસ, ઘર-બાઈકની વ્યવસ્થા કરનાર આરોપી જામીન મુક્ત:પાંચથી વધુ શખ્સો પિસ્તોલ સાથે બેંકમાં ઘૂસીને 50 લાખ લૂંટ્યા હતા
સુરતના વરાછા એલ.એચ. રોડ પર એફિલ ટાવર પાસે આવેલા શક્તિ ટાવરના પહેલા માળે સ્થિત એસ.બી.આઈ. બેંક બ્રાંચમાં તારીખ 27, એપ્રિલ 2026ના રોજ ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી. 25થી 30 વર્ષની વયના પાંચથી વધુ અજાણ્યા શખ્સો પિસ્તોલ જેવા હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ સ્ટાફ અને ગ્રાહકોને માર મારી તેમજ કેબલથી બાંધી બંધક બનાવ્યા હતા. આરોપીઓ સ્થાનિક કેશ કાઉન્ટર અને મુખ્ય બ્રાંચમાંથી મંગાવેલી રોકડ મળી કુલ ₹50 લાખ તથા મોબાઈલ ફોન લૂંટી બપોરે બે વાગ્યાની આસપાસ ફરાર થઈ ગયા હતા. પોલીસે શંકાના આધારે આરોપીની ધરપકડ કરી હતી આ ચકચારી કેસમાં વરાછા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે 19 જૂન, 2026ના રોજ પાલનપુર જકાતનાકા સ્થિત હિદાયત નગર સોસાયટીમાંથી આરોપીની ધરપકડ કરી હતી. લૂંટના આયોજનમાં આરોપી સામે અન્ય મુખ્ય આરોપીઓને સુરત ખાતે રોકાણ માટે મકાન તેમજ રેકી અને લૂંટ માટે બાઈકની વ્યવસ્થા કરી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સીધી સંડોવણી ન હોવાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે જામીન મંજૂર કર્યા આરોપી તરફે એડવોકેટ કિશન પારેખ અને આરતી સિંગે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી દલીલ કરી હતી કે આરોપી બેંકમાં લૂંટ કરવા ગયો નહોતો, કોઈ હથિયાર બતાવ્યું નથી કે કોઈને બંધક બનાવ્યા નથી. માત્ર શંકાના આધારે ધરપકડ કરાઈ છે અને હાલ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આ તમામ દલીલોને ધ્યાને રાખી અદાલતે આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
Read full article on Divya Bhaskar