top
વઢવાણ લોકમેળામાં ચકડોળ પરથી પટકાતા 12 વર્ષની બાળકીનું મોત:થાનગઢના પોલીસકર્મીની 12 વર્ષીય દીકરી નિહારિકાનું સારવારમાં મોત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યોજાયેલા લોકમેળામાં એક ગમખ્વાર અને કરૂણ દુર્ઘટના સામે આવી છે. મેળામાં રાઈડની મજા માણી રહેલી ૧૨ વર્ષની બાળકી અચાનક ચકડોળ પરથી નીચે પટકાતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બાળકી થાનગઢ પોલીસ મથકના કર્મચારીની પુત્રી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના બાદ લોકમેળામાં ચાલતી રાઈડ્સની સુરક્ષા અને ફિટનેસ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વઢવાણ લોકમેળામાં પરિવાર સાથે આનંદ માણવા આવેલી 12 વર્ષની બાળકી નિહારિકા પરમાર ચકડોળમાં બેઠી હતી. આ દરમિયાન અચાનક સમતુલન ગુમાવતાં કે યાંત્રિક ખામીના કારણે નિહારિકા ઊંચાઈ પરથી નીચે રોડ પર પટકાઈ હતી. તેને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક નિહારિકા થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કાંતિલાલ પરમારની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પરિવાર અને સમગ્ર પંથકમાં શોક માસૂમ દીકરીના અચાનક અને દર્દનાક મોતથી પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસ કર્મચારીની પુત્રીના અકાળે અવસાનથી માત્ર તેના પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર પોલીસ બેડા અને વઢવાણ પંથકમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફરી વળી છે. મેળાની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ જતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. રાઈડ્સની ફિટનેસ અને SOPના પાલન સામે સવાલો આ કરૂણ ઘટના બાદ લોકમેળામાં ચાલતી ચકડોળ સહિતની તમામ મનોરંજક રાઈડ્સની મિકેનિકલ સુરક્ષા અને ફિટનેસ સર્ટિફિકેટ સામે મોટા પ્રશ્નાર્થો સર્જાયા છે. તંત્ર દ્વારા નિયમો અને એસઓપી (SOP) મુજબ જ મેળાને આખરી મંજૂરી આપવામાં આવી હોવાના દાવાઓ વચ્ચે આટલો મોટો અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે સ્થાનિકો અને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વઢવાણ પોલીસે ચકડોળ સંચાલકો સામે તપાસ તેજ કરી દુર્ઘટના અંગે જાણ થતાં જ વઢવાણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ચકડોળની સુરક્ષા વ્યવસ્થા, સેફ્ટી બેલ્ટ કે બેરિયરની સ્થિતિ અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે. ચકડોળ સંચાલકોની બેદરકારી હતી કે કેમ તે દિશામાં પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Read full article on Divya Bhaskar