top
રાણીપમાં નિવૃત પોલીસકર્મીના બે વ્યાજખોર પુત્રોનો આતંક:જેલ સિપાઈના પુત્ર પાસેથી 12 લાખની સામે 25 લાખ વસૂલ્યા, 4 કોરા ચેક પડાવી મૂડી બાકી હોવાનું કહી ત્રાસ ગુજાર્યો
અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિવૃત્ત પોલીસકર્મીના બે પુત્રો દ્વારા નિવૃત્ત જેલ સિપાઈના પુત્રને ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી 12 લાખની સામે 25 લાખની જંગી રકમ પડાવી લીધા બાદ પણ સતત ધમકીઓ આપવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ યુવક પાસેથી બળજબરીથી કોરા ચેક મેળવી લીધા હતા અને તેનો ટી-શર્ટ પ્રિન્ટિંગનો વ્યવસાય પણ બંધ કરાવી દીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ યુવકને ઓનલાઇન ગેમિંગ રમીને રૂપિયા ચૂકવવા દબાણ કરતાં અંતે માનસિક ત્રાસથી કંટાળીને ભોગ બનનાર યુવકે બંને વ્યાજખોર ભાઈઓ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધંધો શરૂ કરવા અને સારવાર માટે ટુકડે-ટુકડે 12 લાખ લીધા હતા સાબરમતી સેન્ટ્રલ જેલ ક્વાર્ટર્સમાં રહેતા અને પ્રહલાદનગર સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા અભય પરમારના પિતા દશરથભાઈ જેલ સિપાઈ તરીકે ફરજ બજાવી ગત 30 જૂને નિવૃત્ત થયા હતા. તેમની સાથે નોકરી કરતા મગનભાઈ દેસાઈના પુત્રો વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ સાથે અભયને મિત્રતા હતી. નવેમ્બર-ડિસેમ્બર 2024 દરમિયાન અભયને પોતાનો ધંધો શરૂ કરવા અને મામાની સારવાર માટે પૈસાની જરૂર ઊભી થતાં તેણે વિક્રમ દેસાઈ પાસેથી મદદ માંગી હતી. શરૂઆતમાં 3 ટકા વ્યાજે 1.50 લાખ આપ્યા બાદ, નવેમ્બર 2024થી મે 2026 દરમિયાન સુભાષબ્રિજ સર્કલ પાસે અને રાણીપ જેલ લાઇન ખાતે ટુકડે-ટુકડે રોકડા તેમજ ઓનલાઇન મળી કુલ 12 લાખ આપવામાં આવ્યા હતા. 3 ટકાના બદલે 10 ટકા વ્યાજ ગણી 25 લાખ પડાવ્યા છતાં ધમકીઓ આપી નાણાં ધીર્યા બાદ આરોપીઓએ અચાનક 3 ટકાના બદલે 10 ટકા વ્યાજની માંગણી શરૂ કરી દીધી હતી અને જોતજોતામાં અભય પાસેથી કુલ 25 લાખ જેટલી રકમ વસૂલી લીધી હતી. આટલી મોટી રકમ મેળવી લીધા પછી પણ બંને વ્યાજખોરોએ આ તો માત્ર વ્યાજના જ પૈસા છે અને મૂળ મૂડી હજુ બાકી છે તેમ કહીને પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. અભય પાસે વધુ પૈસાની વ્યવસ્થા ન થતાં આરોપીઓએ તેના પર દબાણ લાવીને સહી કરેલા 4 કોરા ચેક પણ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. ઓનલાઇન ગેમ રમવા દબાણ કરતાં ખાતું બ્લોક થયું અને ધંધો પણ છીનવાયો આરોપીઓએ યુવકને ઝડપથી નાણાં ચૂકવવા માટે ઓનલાઇન ગેમિંગ એપ્સમાં પૈસા લગાવીને કમાણી કરવા માટે મજબૂર કર્યો હતો. તેના પરિણામે અભયના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો વધતાં બેંક દ્વારા તેનું ખાતું બ્લોક કરી દેવામાં આવ્યું હતું. આ તરફ અભયે રાણીપ ડી-માર્ટ નજીક ટી-શર્ટ પ્રિન્ટિંગનો શરૂ કરેલો ધંધો પણ વ્યાજખોરોના સતત ત્રાસ અને રોજેરોજની ઉઘરાણીના કારણે બંધ કરવાની નોબત આવી હતી. સતત વધતા માનસિક તણાવ વચ્ચે યુવકે પોતાના પરિવારને આખી હકીકત જણાવી હતી અને રાણીપ પોલીસ મથકે પહોંચી વિક્રમ દેસાઈ તથા જયેશ દેસાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar