top
લીમખેડામાં દબાણ હટાવવાની કામગીરીને ગ્રામજનોનું સમર્થન:12 મીટરની જગ્યાએ હાલ 9 મીટર સુધી દબાણ દૂર કરવા રજૂઆત
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડસાઇડના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનો અને વેપારીઓ દ્વારા તેનું સમર્થન કરવામાં આવ્યું છે. જોકે, હાલ રોડના મધ્યબિંદુથી 12 મીટરની જગ્યાએ 9 મીટર સુધીનું દબાણ દૂર કરવામાં આવે તેવી રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આ અંગે 07/09/2026ના રોજ લીમખેડા ગ્રામ પંચાયત કચેરી ખાતે નગરજનો, વેપારીઓ અને માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે, નગરમાં હાલ 12 મીટરની માર્કિંગ કરીને રોડસાઇડના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પગલે કેટલાક સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા હાલ પૂરતા 9 મીટરની મર્યાદામાં દબાણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોએ પોતાની રજૂઆતમાં એવી પણ ખાતરી આપી છે કે, ભવિષ્યમાં માર્ગ અને મકાન વિભાગને રોડના વિકાસ અથવા વિસ્તરણ માટે 12 મીટર જગ્યાની જરૂરિયાત ઊભી થાય તો તેઓ સ્વેચ્છાએ દબાણ દૂર કરી જગ્યા ખાલી કરશે. આ અંગે ગ્રામજનો દ્વારા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત ખાતરી અને સામૂહિક બાંહેધરીપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ ગ્રામજનોએ હાલ નગરમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાની માંગ કરી છે. નગરના મુખ્ય માર્ગો પર અવરજવરમાં અડચણ ઊભી કરતા દબાણો દૂર થાય તો વાહનચાલકો અને રાહદારીઓને સરળતા રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ, માર્ગ અને મકાન વિભાગ, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં લીમખેડા નગરમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને ગ્રામજનોએ સમર્થન આપ્યું છે, સાથે જ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને 9 મીટરની મર્યાદા અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા બાંહેધરીપત્રની નકલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, પ્રાંત અધિકારી તેમજ દાહોદ જિલ્લા કલેક્ટરને જાણ અને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.
Read full article on Divya Bhaskar