top
કડીના ખેરપુરમાં બંધ મકાનમાંથી લાખોની ચોરી:તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 1.31 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા
મહેસાણા જિલ્લાના કડી તાલુકા સ્થિત ખેરપુર ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 1.31 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. મૂળ ખેરપુરના વતની અને હાલ કડી ખાતે રહી ખેતીકામ કરતાં પ્રવીણભાઈ પ્રજાપતિના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી તિજોરીના લોકરમાંથી કિંમતી સામાનની ઉઠાંતરી કરી હતી. આ બનાવ સંદર્ભે ઘરમાલિકે નંદાસણ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શિક્ષણ લોનના કામ અર્થે આવ્યા બાદ મકાન બંધ કરીને ગયા હતા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી પ્રવીણભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ હાલ કડીના કરણનગર રોડ પર ભાડાના મકાનમાં રહી ખેતીકામ કરે છે. તેઓ પોતાની પુત્રીની ઉચ્ચ શિક્ષણ લોન સંબંધિત પ્રક્રિયા માટે ઘરના ફોટા પાડવાના હેતુથી ગત 31 ઓગસ્ટના રોજ ખેરપુર સ્થિત પોતાના વતનના મકાને આવ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ તેઓ મકાનને વિધિવત તાળું મારીને પરત કડી જવા રવાના થયા હતા. પાડોશીએ ઘરનો નકુચો તૂટેલો જોતાં ચોરીની જાણ થઈ ત્યારબાદ 1 સપ્ટેમ્બરના રોજ સવારે પાડોશમાં રહેતા એક જાગૃત મહિલાએ પ્રવીણભાઈના મકાનનો દરવાજો ખુલ્લો તેમજ નકુચો તૂટેલો જોતાં તાત્કાલિક તેમને ટેલિફોનિક જાણ કરી હતી. આ સમાચાર મળતાં જ પ્રવીણભાઈ પરિવાર સાથે તાબડતોબ ખેરપુર દોડી આવ્યા હતા. ઘરમાં જઈને તપાસ કરતાં મુખ્ય દરવાજાનો લોખંડનો નકુચો તૂટેલો હતો તેમજ અંદરના રૂમમાં મૂકેલી તિજોરીના લોકર્સ પણ તોડીને અસ્તવ્યસ્ત કરી દેવાયા હતા. સોના-ચાંદીના આભૂષણો અને 50 હજાર રોકડા મળી 1.31 લાખની ચોરી તિજોરીમાં સંગ્રહિત દાગીના અને રોકડની ચકાસણી કરતાં માલૂમ પડ્યું હતું કે તસ્કરો 42,000ની કિંમતની 3 ગ્રામ સોનાની વીંટી, 25,000ની કિંમતની 100 ગ્રામ વજન ધરાવતી ચાંદીની ઝાંઝર (પગની હેર), 14,000ની કિંમતની સોનાની વરખવાળી હાથીદાંતની ચીરીઓ તેમજ 50,000ની રોકડ રકમ ચોરી ગયા હતા. આમ, અજાણ્યા તસ્કરો કુલ 1,31,000ની મત્તા સગેવગે કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે પ્રવીણભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે નંદાસણ પોલીસે ગુનો નોંધી સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ ટીમોની મદદથી તસ્કરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar