top
મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ દાયકા બાદ સત્તાપરિવર્તન:કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલે 14માંથી 9 બેઠકો જીતી; વીજપોલ વળતર આંદોલનની નારાજગી મતોમાં પરિણમી
મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલે 14માંથી 9 બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે સહકાર પેનલને માત્ર 5 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે. આ પરિણામ સાથે જ છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી આવતી સત્તાનો અંત આવ્યો છે. વેપારી અને ખેડૂત વિભાગમાં ભારે મતદાન નોંધાયું મોરબી, ટંકારા અને માળિયા તાલુકાના ખેડૂતોનું મુખ્ય કેન્દ્ર એવા આ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બુધવારે યોજાયેલા મતદાનમાં વેપારી વિભાગની 4 બેઠકો માટે 100 ટકા અને ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 96.21 ટકા મતદાન નોંધાયું હતું. ગુરુવારે સવારે 9 વાગ્યે શરૂ થયેલી મતગણતરી સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ હતી. વેપારી અને ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારો વેપારી વિભાગની 4 બેઠકોમાંથી સહકાર પેનલના રાજેશ બરાસરા અને સુરેશ કાવરે જીત મેળવી હતી, જ્યારે ખેડૂત પરિવર્તન પેનલના ઘનશ્યામ બાવરવા અને બાબુભાઈ ભાડજા વિજેતા બન્યા હતા. ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી પરિવર્તન પેનલના નયન અઘારા, નથુભાઈ કડીવાર, મનસુખભાઈ ઉજરીયા, ધર્મરાજસિંહ જાડેજા, વિનોદભાઈ ડાંગર, રાજેશભાઈ પાંચોટિયા અને સતિષભાઈ મેરજા વિજેતા બન્યા હતા. સહકાર પેનલમાંથી મહેન્દ્રસિંહ ઝાલા, પ્રવીણભાઈ ડાકા અને અમરશીભાઈ દેત્રોજા જીત્યા હતા. ખેડૂત આંદોલનની અસર અને લલિત કગથરાનો આભાર છેલ્લા ત્રણ દાયકાથી સહકાર પેનલના આગેવાન મગન વડાવિયાનું યાર્ડ પર વર્ચસ્વ હતું. પરંતુ ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે વળતર મેળવવા ચાલી રહેલા ખેડૂત આંદોલનની નારાજગી મતો દ્વારા સ્પષ્ટ થઈ હતી. વિજય બાદ ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પરિવર્તન પેનલને વિજયી બનાવવા બદલ તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read full article on Divya Bhaskar