top
જમીન વળતર મુદ્દે પંચમહાલના ખેડૂતોમાં આક્રોશ:15 વર્ષથી વળતર ન મળતાં ખેડૂતોની ચૂંટણી-બહિષ્કારની ચીમકી; વાજબી વળતર નહીં મળે તો ચક્કાજામની ચેતવણી
આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા પંચમહાલ જિલ્લામાં જમીન સંપાદનના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. અમદાવાદ-ઈન્દોર ચારમાર્ગીય હાઈવેના નિર્માણમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ યોગ્ય વળતર મેળવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જો પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. 10થી વધુ ગામોના ખેડૂતો 15 વર્ષથી ન્યાય માટે વંચિત વર્ષ 2009થી 2013 દરમિયાન અમદાવાદ-ઈન્દોર રોડના નિર્માણ અર્થે ગોધરા તાલુકાના છબનપુર, ગોધરા, દરુણીયા, ભામૈયા, વાવડીબુઝર્ગ, વેગનપુર, ટુવા, મોટી કાંટડી, જુનીધરી અને ટીમ્બા સહિતના ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી. જમીન સંપાદન સમયે તત્કાલીન બજાર કિંમત મુજબ યોગ્ય વળતર આપવામાં આવ્યું ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. અરજીઓ પર 2024 સુધી કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ જમીનની યોગ્ય કિંમત મેળવવા ખેડૂતોએ જમીન સંપાદન અધિકારી સમક્ષ કાયદેસરની અરજીઓ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કલેક્ટર કચેરીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં વર્ષ 2024 સુધી આ અરજીઓ પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લાં 15 વર્ષથી પોતાના હકના નાણાં મેળવવા લડત આપી રહેલા ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે. ઝડપી નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ આવેદનપત્ર આપીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે વળતરના તમામ કેસોનો સત્વરે નિકાલ લાવી યોગ્ય રકમ ચૂકવવામાં નહીં આવે, તો આવનારા સમયમાં રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરવામાં આવશે. આ સાથે જ આગામી તમામ ચૂંટણીઓમાં ખેડૂતો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.
Read full article on Divya Bhaskar