top
ગીરસોમનાથના 150 વિદ્યાર્થીએ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીમાં ભાગ લીધો:પ્રભાસ પાટણ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘સ્પેસ ક્વિઝ’નું આયોજન
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની યાદમાં 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના આશરે 150 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમિક કો-ઓર્ડીનેટર વિજય કોટડીયાએ જણાવ્યું હતું કે, 23 ઓગસ્ટ, 2023ના રોજ ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ ગૌરવપૂર્ણ ઘટનાની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ વર્ષે ત્રીજો રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવાઈ રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લામાં યોજાયેલી ઉજવણી અંતર્ગત ખાસ ‘સ્પેસ ક્વિઝ’નું આયોજન કરાયું હતું. આ ક્વિઝમાં ચંદ્રયાન-3, ભારતના અવકાશ મિશન, સેટેલાઇટ, ગ્રહો અને અવકાશ વિજ્ઞાનને લગતા પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અને વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતના 34 જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રો દ્વારા વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ અને રસ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સ્પેસ ક્વિઝમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિજેતા વિદ્યાર્થીઓને આગામી છ મહિનાની અંદર તેમના પરિવાર સાથે વિનામૂલ્યે સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે, જે તેમને પ્રોત્સાહન પૂરું પાડશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રમાં વધુ રસ દાખવવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે નવી જિજ્ઞાસા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
Read full article on Divya Bhaskar