top
દાનહમાં 2 મહિના માટે હાઈવે નો-પાર્કિંગ ઝોન જાહેર:ભારે વાહનોના ગેરકાયદે પાર્કિંગ પર દંડ થશે, ટ્રાફિક સમસ્યાને અટકાવવા વહીવટી તંત્રે કડક પગલાં લીધા
દાદરા અને નગર હવેલીમાં જાહેર માર્ગો પર ભારે અને કોમર્શિયલ વાહનોના અનધિકૃત પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યાને અટકાવવા વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમિત કુમારે આ અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત આજથી બે મહિના માટે હાઈવેને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ નવા આદેશ મુજબ, તાત્કાલિક અસરથી આગામી બે મહિના સુધી આ વિસ્તારોમાં ભારે વાહનોનું પાર્કિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. જેમાં શહીદ ચોકથી નરોલી એન્ટ્રન્સ ગેટ સુધીનો માર્ગ, સેલવાસ રિંગ રોડ, સમરવરણી - રખોલી રોડ અને જિલ્લામાંથી પસાર થતા તમામ સ્ટેટ તથા નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. આ નિર્ણય જાહેર માર્ગો પર ભારે વાહનોના પાર્કિંગથી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આવા પાર્કિંગથી રસ્તાની પહોળાઈ ઘટી જાય છે, જેના પરિણામે સતત ટ્રાફિક જામ થાય છે, રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધે છે અને એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોની અવરજવરમાં ભારે અડચણ ઉભી થાય છે. જો કોઈ વાહન ચાલક આ આદેશનો ભંગ કરશે, તો વાહન સામે ટોઇંગ અને વ્હીલ ક્લેમ્પ જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. વાહન ટોઇંગ અને સ્ટોરેજનો તમામ ખર્ચ વાહન માલિક કે ચાલકે જ ભોગવવો પડશે. આ ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટ હેઠળ પણ કાનૂની પગલાં લેવામાં આવશે. જોકે, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને કાયદેસરની ફરજ પરના સરકારી વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા તમામ અમલીકરણ એજન્સીઓને કડક પેટ્રોલિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar