top
સુરતમાં નવા કમિશનરના પહેલા જ દિવસે જનઆક્રોશ:20 સોસાયટીઓની લગોલગ 3 સુએઝ પ્લાન્ટ થોપવાના પાલિકાના તઘલખી નિર્ણય સામે તાપીભવન ગુંજ્યું, આંદોલનની ચીમકી
સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર રાજકુમાર બેનીવાલે પદભાર સંભાળ્યો તે જ દિવસે સ્થાનિક નાગરિકોનો ઉગ્ર આક્રોશ પાલિકા કચેરીએ જોવા મળ્યો હતો. ટી.પી. સ્કીમ નંબર 37, બ્લોક નંબર 105 વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓની લગોલગ પ્રસ્તાવિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સામે આસપાસની અંદાજે 20 જેટલી સોસાયટીઓના 80 થી 90 જેટલા રહીશોએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી 'તાપી ભવન' ખાતે એકત્ર થઈ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું. દુર્ગંધ, પર્યાવરણીય પ્રદૂષણ અને ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ટી.પી. 37 અને બ્લોક 105 માં રહેણાંક સોસાયટીઓથી માત્ર 20 મીટરના અંતરે બે ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આશરે 400 મીટરના અંતરે ત્રીજો પ્લાન્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ નિર્ણય સામે લોકોમાં ભારે રોષ છે. રહેણાંક વિસ્તારની આટલી નજીક એકસાથે ત્રણ પ્લાન્ટ સ્થાપવાથી સમગ્ર વિસ્તારમાં સતત દુર્ગંધ, પર્યાવરણીય પ્રદૂષણ અને ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. રહેણાંક વિસ્તારથી દૂર વૈકલ્પિક સ્થળે ખસેડવા માગ વિરોધ પ્રદર્શનમાં નીલકંઠ સ્કાય, રીવાંટા વરણી, પુષ્કર હિલ, નીલકંઠ લક્ઝરીયા, સૌંદર્ય ટ્વીન્સ, સૌંદર્ય પેલેસ, સન સાન્તમ, નીલકંઠ સન અને નીલકંઠ એલીગ્ઝ સહિતની સોસાયટીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. રહીશોએ માગ કરી છે કે આ પ્રોજેક્ટનું સ્થળ તાત્કાલિક બદલીને રહેણાંક વિસ્તારથી દૂર વૈકલ્પિક સ્થળે ખસેડવામાં આવે. જો પાલિકા તંત્ર દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 'માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું' સ્થાનિક જગદીશભાઈએ જણાવ્યું હતું કે, અમે આજે સુરત મહાનગરપાલિકા ખાતે નવા કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ. અમારી ટી.પી. સ્કીમ 37, બ્લોક નંબર 105 માં આવેલી લગભગ 20 જેટલી રહેણાંક સોસાયટીઓથી માત્ર 20 થી 400 મીટરના અંતરમાં ત્રણ-ત્રણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. હજારો પરિવારો જ્યાં વસવાટ કરે છે ત્યાં આવા પ્લાન્ટ આવવાથી દુર્ગંધ અને પ્રદૂષણનું સામ્રાજ્ય ઊભું થશે, જેનાથી બાળકો અને વૃદ્ધોના આરોગ્ય સામે મોટો ખતરો સર્જાશે. પાલિકા તંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરે અને આ પ્લાન્ટને તાત્કાલિક રહેણાંક વિસ્તારથી દૂર ખસેડે. જો તંત્ર અમારી માગણી નહીં સંતોષે તો અમારે ન છૂટકે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત લડવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે.
Read full article on Divya Bhaskar