top
સુરતમાં મહિલાઓને શૌચાલય માટે મોરચો કાઢવો પડ્યો:સલાબતપુરામાં 28 વર્ષ જૂનું જાહેર શૌચાલયને તાળું મારી દેવાયું, ધારાસભ્ય-કોર્પોરેટરના ઘર ઘેરવાની કોંગ્રેસની ચીમકી
સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા સલાબતપુરા, વાસફોડા પુલ નજીકની દેવીપૂજક વસ્તીમાં અંદાજે 28 વર્ષ જૂના જાહેર શૌચાલયને વહીવટી તંત્ર દ્વારા અચાનક તોડી પાડી તાળાં મારી દેવાતા અને વીજળી-પાણીના કનેક્શન કાપી નખાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. વૈકલ્પિક સુવિધા પૂરી પાડ્યા વગર જ શૌચાલય બંધ કરી દેવામાં આવતા સ્થાનિક મહિલાઓ, શ્રમિકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે. રાતોરાત નળ, લાઈટ અને મોટર કાઢીને શૌચાલયને તાળું મારી વિસ્તારની મહિલાઓ અનિતાબેન અને લીલાબેન દંતાણીએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 300થી 400 જેટલા પરિવારો 10 બાય 10ના નાના મકાનોમાં વસવાટ કરે છે. ઘરોમાં વ્યક્તિગત શૌચાલય બનાવવાની જગ્યા ન હોવાથી તમામ રહીશો છેલ્લા કેટલાય દાયકાઓથી આ સુવિધા પર નિર્ભર હતા. કોઈ પણ જાતની પૂર્વ જાણ વગર રાતોરાત નળ, લાઈટ અને મોટર કાઢીને શૌચાલયને તાળું મારી દેવામાં આવ્યું છે, જેના કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રહીશોએ સવાલ ઉઠાવ્યો હતો કે નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જૂનું શૌચાલય ચાલુ રાખવું જોઈએ. જગ્યા બિલ્ડરો કે મળતિયાઓને પધરાવી દેવાનો આક્ષેપ આ ગંભીર જનહિતના પ્રશ્ને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં સ્થાનિક રહીશો સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખે મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલને લેખિત પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી કે એક તરફ સરકાર 'સ્વચ્છ ભારત' અને 'ઘરે-ઘરે શૌચાલય'ના દાવાઓ કરે છે, જ્યારે બીજી તરફ ગરીબો પાસેથી ઉપલબ્ધ જાહેર સુવિધાઓ છીનવી લેવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ જગ્યા બિલ્ડરો કે મળતિયાઓને પધરાવી દેવા માટેનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. 'શૌચાલય પુનઃ કાર્યરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું' વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, મહેનત-મજૂરી કરતા આ ગરીબ લોકો પણ નિયમિત વેરો ભરે છે, છતાં તેમની પાયાની જરૂરિયાતો પર તરાપ મારવામાં આવી રહી છે. કયા અધિકારીના આદેશથી અને કઈ મંજૂરીથી આ કાર્યવાહી કરાઈ તેની તપાસ કરી જવાબદારી નક્કી થવી જોઈએ. જો તાત્કાલિક ધોરણે આ જાહેર શૌચાલય પુનઃ કાર્યરત નહીં કરવામાં આવે, તો કોંગ્રેસ પક્ષ સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કરશે તેમજ ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે.
Read full article on Divya Bhaskar