top
પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં 3 દીકરીના પિતાએ પોતાનું પેટ ચીરી નાખ્યું:પ્રસાદરૂપે માનતાના દાણાની સાથે 100ની નોટ ગળી જતા માનસિક સંતુલન ગુમાવ્યું, ગાંધીનગરનો શોકિંગ કિસ્સો
ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તની ઘેલછામાં પોતાનો જ જીવ જોખમમાં મૂક્યો. માનેલી માનાતાના દાણાની સાથે ભૂલથી 100 રૂપિયાની ચલણી નોટ ગળી ગયો. પોતાનાથી મોટી ભૂલ થયાનું માની જાતે જ દાંતરડા જેવા હથિયારથી પેટ ચીરી નોટ બહાર કાઢવાનો પ્રયાસ કરતા આંતરડા બહાર આવી ગયા અને બેભાન થયો. લોહીલુહાણ હાલતમાં સિવિલમાં સારવાર માટે ખસેડાયો, 8 દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતા રજા આપવામાં આવી. ત્રણ દીકરીઓના પિતાએ અંધશ્રદ્ધામાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો ગાંધીનગરમાં રહેતા અને ત્રણ દીકરીઓના પિતા એવા 36 વર્ષીય યુવકને પુત્ર પ્રાપ્તિ માટે માતાજીના દાણા નાખવા માટે કહેલું. જેથી યુવકને પ્રસાદરૂપે દાણા અને સાથે 100 રૂપિયાની ચલણી નોટ આપવામાં આવી હતી. યુવક ભૂલથી દાણાની સાથે ચલણી નોટ ગળી ગયો. જેના કારણે તેને માનસિક સંતુલન ગુમાવી દીધું અને એમ થયું કે, હવે તેને પુત્ર પ્રાપ્તિ નહીં થાય. ચલણી નોટ બહાર કાઢવા જાતે જ પેટ ચીરી નાખ્યું અંધશ્રદ્ધામાં ડૂબેલા યુવાનને એમ થયું કે, દાણાની સાથે ચલણી નોટ ગળી ગયો હોવાના કારણે હવે તેમની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ નહીં થાય. જેના કારણે દાંતરડા જેવું હથિયાર લઈ પોતે જ પોતાનું પેટ ચીરી નાખ્યું અને ચલણી નોટ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. બેભાન હાલતમાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો 29 ઓગસ્ટે બુધવારની સવારે યુવાનને લોહીલુહાણ હાલતમાં આંતરડામાં ગંભીર ઘા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. આશ્ચર્યજનક રીતે આટલી દર્દનાક અને ગંભીર ઈજા હોવા છતાં દર્દી પૂરેપૂરા ભાનમાં હતો અને બોલતી-ચાલતી હાલતમાં હતો. બનાવની ગંભીરતા સમજીને હોસ્પિટલના તબીબોએ સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક ધોરણે તબીબી ટીમ કાર્યરત કરી દીધી અને ગણતરીની મિનિટોમાં દર્દીને ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યો. હથિયારથી પેટ ચીરતા પેટની આગળની દીવાલને નુકસાન થયું સિવિલની એનેસ્થેસિયા ટીમ અને સર્જન ટીમની સંયુક્ત કામગીરી થકી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે પેટની આગળની દીવાલ હથિયારના ઘાથી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત અને ખરાબ થઈ ચૂકી હતી. સર્જનોએ અત્યંત કાળજીપૂર્વક પેટની આગળની દીવાલને ટાંકા લઈને પુનઃ સીવી લીધી અને પેટના અન્ય તમામ આંતરિક અંગોની પણ બારીકાઈથી ચકાસણી કરી. દર્દીને ભવિષ્યમાં ખોરાક લેવામાં તકલીફ ન પડે તે માટે આંતરડામાં ખાસ નળી મૂકવામાં આવી હતી. આશરે દોઢથી બે કલાક સુધી ચાલેલી આ જટિલ સર્જરી બાદ તબીબોને સફળતા મળી હતી.ઓપરેશન સફળ રહ્યા બાદ દર્દીને સઘન દેખરેખ માટે આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તબીબો અને નર્સિંગ સ્ટાફની વિશિષ્ટ માવજત અને સતત મોનિટરિંગના કારણે ઓપરેશનના પાંચથી છ દિવસ બાદ દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે સ્ટેબલ થતાં તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar