top
'સોશિયલ મીડિયા પરનો ખુલાસો માન્ય નહીં ગણાય':સિન્ડિકેટ રિપોર્ટ બાદ હાઇકોર્ટના પૂર્વ જજ નીરજા ગુપ્તા કેસની તપાસ કરશે, કમિટી 3 મહિનામાં યુનિવર્સિટીને રિપોર્ટ સોંપશે
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભરતી કૌભાંડ અને PMJVK યોજનાની ગ્રાન્ટના દુરુપયોગ મામલે યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટના નિવૃત્ત જજની એક સભ્યની તપાસ કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નીરજા ગુપ્તા વિરુદ્ધ અનિયમિત નિમણૂકો, ભંડોળનો દુરુપયોગ, સત્તાનો ગેરઉપયોગ તેમજ કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટોના ઉપયોગ બાબતે ગંભીર ફરિયાદો નોંધાઈ હતી. આ સમગ્ર મામલે કોઈપણ પક્ષપાત વગર સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવા માટે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આ કમિટીની રચના કરવામાં આવી છે. નિવૃત્ત જજ દીપક વ્યાસની અધ્યક્ષતામાં તપાસ સમિતિ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હાઇકોર્ટના નિવૃત્ત જજ દીપક વ્યાસ દ્વારા સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. આ તપાસ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય શંકાસ્પદ ભરતીના દસ્તાવેજો, સત્તાનો દુરુપયોગ, ભંડોળની ફાળવણી અને PMJVKની ગ્રાન્ટના થયેલા ખર્ચની બારીકાઈથી તપાસ કરવાનો રહેશે. નિવૃત્ત જજ દીપક વ્યાસની આ સમિતિ તમામ પાસાઓની ચકાસણી કરીને આગામી 3 મહિનામાં પોતાનો વિગતવાર તપાસ અહેવાલ ગુજરાત યુનિવર્સિટીને સુપરત કરશે. સિન્ડિકેટ સભ્યોના અહેવાલ બાદ કાયદાકીય સલાહ લેવામાં આવી અગાઉ ભરતી કૌભાંડ સંદર્ભે સરકાર નિયુક્ત બે સિન્ડિકેટ સભ્યોની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલ અંગે કાયદાના નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. અગાઉની તપાસ કમિટીએ નીરજા ગુપ્તાની પૂછપરછ પણ કરી હતી. જોકે, ભવિષ્યમાં તપાસ પ્રક્રિયા સામે કોઈ પક્ષપાતના આક્ષેપો ન થાય તે હેતુથી યુનિવર્સિટી તંત્ર દ્વારા તટસ્થતા સુનિશ્ચિત કરવા નિવૃત્ત જજને તપાસ સોંપવામાં આવી છે, જેની સામે પૂર્વ કુલપતિ તરફથી કોઈ વાંધા અરજી પણ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર આપેલો ખુલાસો અમાન્ય ઠરશે ઇન્ચાર્જ કુલપતિએ સ્પષ્ટતા કરી હતી કે, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટી સમક્ષ સત્તાવાર રીતે કોઈ લેખિત સ્પષ્ટતા કે ખુલાસો રજૂ કર્યો નથી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે ખુલાસો આપ્યો છે, તેને વહીવટી દ્રષ્ટિએ માન્ય ગણવામાં આવશે નહીં. તપાસ કમિટી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને લાગતાવળગતાઓને અપાયેલી નોકરીઓ, નિમણૂકમાં કરાયેલી ગેરરીતિઓ અને યુનિવર્સિટીના નાણાકીય વ્યવહારોની કડક ચકાસણી કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહીની દિશા નક્કી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar