top
કુખ્યાત મન્યા ડુક્કર ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો:સુરત ક્રાઈમ બ્રાન્ચે જલગાંવથી દબોચ્યો; 3 પિસ્તોલ અને કારતૂસ જપ્ત, લીંબાયતમાં ખંડણી વસૂલાત અને ગંભીર ગુનાઓની કબૂલાત
સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતા જય દલાલની હત્યાના ચકચારી કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને તેમની ટીમે મળતી ચોક્કસ બાતમીના આધારે જલગાંવથી મુખ્ય આરોપી સાગર ઉર્ફે મન્યા ડુક્કરને ઝડપી પાડ્યો છે. ઉધના રોડ નંબર-6 પર ભંગારની દુકાન પાસે જાહેરમાં કિશન ઉર્ફે ચકલી, પંકજ પાટીલ અને મિલીંદ કોળીએ તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી જય દલાલની ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. મન્યા ડુક્કરની પૂછપરછમાં સાગરીતોના નામ ખુલ્યા સુરત ક્રાઈમ બ્રાન્ચે મન્યા ડુક્કરની સઘન પૂછપરછ કરતા તેની ગેંગના અન્ય સાગરીતો પ્રિતેશ સોનવણે, ગણેશ ઉર્ફે બટકા કોળી અને રાજ આધાર વેર્દેના નામ બહાર આવ્યા હતા. પોલીસે આ સાગરીતો પાસેથી ભારતીય બનાવટની તથા દેશી હાથ બનાવટની પિસ્તલો, મેગેઝીન અને જીવતા કારતૂસોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગેરકાયદેસર પિસ્તોલ અને હથિયારોનું નેટવર્ક પકડાયું પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે આજથી 6 થી 7 મહિના અગાઉ જયેશ ઉર્ફે બારકુ વાઘ નામના શખ્સે પ્રિતેશ સોનવણેને લોડેડ પિસ્તલ સાચવવા આપી હતી. તેવી જ રીતે ગણેશ બટકા અને રાજને પણ ગેરકાયદેસર હથિયારો સાચવવા માટે આપવામાં આવ્યા હતા. આ તમામ સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ અલગ ગુના નોંધાયા છે. લીંબાયતમાં ₹15 લાખની ખંડણી અને ધમકીની કબૂલાત ગત 18 ઓગસ્ટ 2026ના રોજ મન્યા ડુક્કર અને તેના સાગરીતોએ લીંબાયત દ્વારકેશ નગર ખાતે રાજેશ ચૌરશિયાની બાંધકામ સાઇડ પર જઈ કામ બંધ કરાવી દીધું હતું. આરોપીઓએ બાંધકામ કરવા દેવા બદલ ₹15 લાખની ખંડણી માંગી હતી અને ના પાડતા છાતી પર ચપ્પુ અડાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને ડરાવીને ₹10,000 બળજબરીથી પડાવી લીધા હતા. આ અંગે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. કુખ્યાત મન્યા ડુક્કર સામે 21થી વધુ ગંભીર ગુના મુખ્ય સૂત્રધાર મન્યા ડુક્કર અગાઉ બે વખત ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ પકડાઈ ચૂક્યો છે અને તેના વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી અને આર્મ્સ એક્ટ જેવા 21 થી વધુ ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય મુખ્ય આરોપી બારકુ વાઘ પણ મારામારી, લૂંટ અને ફાયરિંગના 35 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે અને હાલ લાજપોર જેલમાં કેદ છે. ડીસીપી ભાવેશ રોઝિયાનું સત્તાવાર નિવેદન ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, ઉધનામાં નોંધાયેલા મર્ડર કેસમાં સંડોવણી જાહેર થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ જલગાંવથી મન્યા ડુક્કરને પકડી પાડ્યો છે. આ ગેંગ પાસેથી ટૂંકાગાળામાં 3 પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે કરાયા છે. જેલમાં બંધ બારકુ વાઘ અને મન્યા ડુક્કર સામે ટ્રાન્સફર વોરંટના આધારે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read full article on Divya Bhaskar