crime
નવી સિવિલની મેડિકલ કોલેજના ડો.હર્ષ પંડ્યા આપઘાતનો મામલો:આરોપી 4 સિનિયર ડોક્ટરોને હાજર થવા પોલીસની નોટિસ, VNSGU રિપોર્ટમાં વિરોધાભાસથી સવાલો
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ ડો. હર્ષ પંડયા આપઘાત અને રેગિંગ કેસમાં ખટોદરા પોલીસે તપાસ તેજ કરી છે. એન્ટિ-રેગિંગ સ્ક્વોડના અહેવાલ બાદ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી ચારેય સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો- ડો.નિરાલી વસાવે, ડો.અનુજ મહેશ્વરી, ડો.દિશીતા ઘેવરિયા અને ડો.હીના ભૂતને વિધિવત નોટિસ ફટકારી પૂછપરછ માટે તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો છે. સીરોલોજી લેબમાં માનસિક ત્રાસ અને BNS હેઠળ ગુનો તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીઓ મૃતક ડો.હર્ષ પંડયા તથા અન્ય જુનિયર ડોક્ટરોને સીરોલોજી લેબમાં કલાકો સુધી બેસાડી રાખી માનસિક ત્રાસ આપતા હતા. આ સિવાય તેઓ જુનિયર્સને અપશબ્દો કહી પ્રોફેસરો સમક્ષ ખોટી ફરિયાદો કરી હેરાન કરતા હતા. આ ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ ચારેયને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે, જ્યારે પોલીસે BNSની કલમ 127(2) (ગેરકાયદે અટકાયત), 352 (ઈરાદાપૂર્વક અપમાન) અને 354 હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. યુનિવર્સિટીને સોંપાયેલા તપાસ અહેવાલ પર સવાલો બીજી તરફ, સરકારી મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગમાં રેગિંગ અંગેનો તપાસ રિપોર્ટ નર્મદ યુનિવર્સિટીને સુપરત કરવામાં આવ્યો છે. જો કે આ રિપોર્ટના તારણોમાં ગંભીર વિરોધાભાસ સામે આવ્યો છે. રિપોર્ટમાં એક તરફ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટરો સાથે વારંવાર વર્બલ એબ્યુઝ અને માનસિક ઉત્પીડન રૂપી રેગિંગ થયાનું સ્પષ્ટ સ્વીકારાયું છે, જ્યારે બીજી તરફ સ્વ.ડો. હર્ષ પંડયાના આપઘાતને રેગિંગ સાથે સીધો સંબંધ ન હોવાનું દર્શાવાતા ચર્ચા જાગી છે. જવાબદારોના નિવેદનો અને રેગિંગની વ્યાખ્યા અંગે વિવાદ વિભાગીય વડા, ફેકલ્ટી સભ્યો અને જુનિયર-સિનિયર ડોક્ટરોના નિવેદનો બાદ તૈયાર થયેલા આ અહેવાલમાં પ્રથમ વર્ષના ડોક્ટરો પર વધુ કાર્યભાર હોવાનો સ્વીકાર કરાયો છે. વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિયેશન જેવા ગંભીર આક્ષેપો રેગિંગની વ્યાખ્યામાં આવતા હોવા છતાં, કમિટી દ્વારા આપઘાતની ઘટનાને રેગિંગથી સંપૂર્ણ અલગ ગણાવવાના અભિગમ સામે અનેક શંકા-કુશંકાઓ ઉપસી રહી છે.
Read full article on Divya Bhaskar