education
4.72 લાખ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં 646 કરોડની શિષ્યવૃત્તિ:દીકરીઓના વિજ્ઞાન પ્રવેશમાં 16%નો વધારો, ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે DBTથી સહાયનું વિતરણ
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી રાજ્યના 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં 646 કરોડથી વધુની શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય સીધી જમા કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા માટે માત્ર સરકાર જ નહીં પરંતુ, શિક્ષકો સાથે સમગ્ર સમાજે પણ ખભેખભો મિલાવીને સહયોગ આપવા આહવાન કર્યું હતું. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ કરોડોની સહાય સહાય વિતરણના આ કાર્યક્રમમાં કન્યા કેળવણીને વેગ આપતી 'નમો લક્ષ્મી યોજના' હેઠળ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 513 કરોડથી વધુની રકમ સુપ્રત કરવામાં આવી હતી. આ ઉપરાંત 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' હેઠળ ધોરણ-12વિજ્ઞાન પ્રવાહના 57 હજારથી વધુ સફળ વિદ્યાર્થીઓને 28 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY), ‘શોધ’ યોજના, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અને કન્યા કેળવણી નિધિ હેઠળ 7260 વિદ્યાર્થીઓને 96 કરોડની સહાય અને 48 શૈક્ષણિક સંસ્થાઓને 9 કરોડ મળી કુલ 105 કરોડનું અનુદાન પણ આપવામાં આવ્યું હતું. ‘શિક્ષકોની સજ્જતા વધારવી જરૂરી, સમાજે પણ સાથે ઊભા રહેવું પડશે’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાનો મજબૂત પાયો નાખીને ગુજરાતના વિકાસની બૂનિયાદ તૈયાર કરી છે. આજકાલ બાળકોમાં સમયાનુકૂળ પરિવર્તન આવ્યું છે અને તેમની જિજ્ઞાસાવૃત્તિ વધી છે, જેની સામે શિક્ષક સમુદાયે પણ પોતાની સજ્જતા વધારવી પડશે. રાજ્ય સરકાર શાળા છોડી ગયેલા (ડ્રોપઆઉટ) બાળકોને શોધીને ફરી શાળાએ મોકલવાનું વિશેષ અભિયાન પણ ચલાવી રહી છે. દીકરીઓના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 16%નો મોટો વધારો રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2003થી શરૂ થયેલા 'શાળા પ્રવેશોત્સવ' અને 'કન્યા કેળવણી અભિયાન'ના કારણે રાજ્યમાં એનરોલમેન્ટ રેટ 75%થી વધીને 99.99% સુધી પહોંચ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયો 37%થી ઘટીને 1% જેટલો નહિવત થયો છે. નવી યોજાયેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓના અમલથી ઉચ્ચતર માધ્યમિક સ્તરે દીકરીઓના પ્રવેશમાં 16%નો અને ધોરણ-9થી 12માં 80%થી વધુ હાજરી ધરાવતી દીકરીઓની સંખ્યામાં 73%નો નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય વિજ્ઞાન પ્રવાહમાં 80થી 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓમાં પણ 125%નો ઉછાળો જોવા મળ્યો છે. આર્થિક તંગીના કારણે કોઈ દીકરી શિક્ષણથી વંચિત નહીં રહે: શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ઉમેર્યું હતું કે 'વિકસિત ભારત-2047'ના સંકલ્પને સાકાર કરવા ગુજરાતે શિક્ષણને મુખ્ય સાધન બનાવ્યું છે. સરકારનો દ્રઢ નિશ્ચય છે કે પૈસાના અભાવે કોઈ પણ પ્રતિભાશાળી વિદ્યાર્થી કે દીકરી પોતાના અભ્યાસથી વંચિત ન રહે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કમલેશ પટેલ સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યભરમાંથી લાખો શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
Read full article on Divya Bhaskar