top
બનાસકાંઠામાં શિક્ષકે જ સાથી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવ્યો:બાલારામના જંગલમાં ખોટા બળાત્કાર કેસની ધમકી આપી 5 લાખ માંગ્યા, પૂર્વ શિક્ષક સહિત 3 આરોપીઓ ઝડપાયા
બનાસકાંઠાના દાંતા પંથકમાં સરકારી શાળાના શિક્ષકને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ₹5 લાખની ખંડણી માંગનારી હનીટ્રેપ ટોળકીનો બનાસકાંઠા LCBએ પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર પાલનપુરની ખાનગી શાળાનો પૂર્વ શિક્ષક મહેબૂબ ખાન નીકળ્યો છે. પોલીસે કાર્યવાહી કરીને આ મામલે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા અને પત્રકાર સહિત 3 આરોપીઓ હાલ ફરાર છે. મિત્રતાનો લાભ લઈ રચાયું ષડયંત્ર ફરિયાદી શિક્ષક અગાઉ પાલનપુરની ખાનગી શાળામાં આરોપી મહેબૂબ ખાન સાથે નોકરી કરતા હતા. આ જૂની મિત્રતાનો ગેરલાભ ઉઠાવીને મહેબૂબ ખાને અન્ય સાગરીતો સાથે મળીને હનીટ્રેપનું ષડયંત્ર ઘડી કાઢ્યું હતું. યોજના મુજબ એક મહિલાએ ફરિયાદી શિક્ષકનો સંપર્ક કર્યો અને તેમને બાલારામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં લઈ ગઈ હતી. જંગલમાં અગાઉથી ગોઠવાઈ ગયેલા અન્ય આરોપીઓએ આવીને ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. રોકડ અને ઓનલાઈન નાણાં પડાવ્યા તોડબાજ ટોળકીએ શિક્ષક પાસે ₹5 લાખની ભારે રકમની માંગણી કરી હતી. ભયના માર્યા શિક્ષકે રોકડ અને ઓનલાઈન ટ્રાન્સફર મારફતે કુલ ₹1.15 લાખ આ ટોળકીને આપ્યા હતા. ત્યારબાદ ખાનગી ન્યઝ ચેનલના પત્રકાર તરીકે ઓળખ આપનાર મુજાહિદ ખાને ફરિયાદીને ન્યૂઝની એક લિંક મોકલી હતી. તેણે સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપીને વધુ ₹5 લાખ માંગ્યા હતા. પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચનાથી LCB PI ડી.એમ. રાઠોડની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે દરોડો પાડીને મહેબૂબ ખાન, સલીમ ખાન અને નરસિંહ રાવળની અટકાયત કરી હતી. પકડાયેલા ત્રણેય આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે, જ્યાં હાલ PI વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર પોલીસ તપાસ અનુસાર આશા શર્મા, ઈકો કારનો ચાલક શ્રવણ રાવળ અને પોતાને પત્રકાર ઓળખાવનાર મુજાહિદ ખાન હાલ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ પૈકી નરસિંહ રાવળ સામે ભૂતકાળમાં દિયોદર અને છાપી પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત આરોપી સલીમ ખાન સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે. LCB ની ટીમે ભેદ ઉકેલ્યો આ સમગ્ર સફળ કામગીરીમાં LCB PI ડી.એમ. રાઠોડ, LCB PSI જે.એસ. ગઢવી, LCB PSI એન.બી. જાડેજા તેમજ અંકિત કુમાર, પ્રકાશભાઈ, બળવંતસિંહ અને મુકેશભાઈ જોડાયા હતા. બાળકોને નીતિમત્તાના પાઠ ભણાવતો શિક્ષક જ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર નીકળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ ટોળકીએ અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar