politics
માળીયા હાટીનાની ઈંટાળી ગ્રામ પંચાયત વિસર્જિત, વહીવટદાર મુકાશે:વિકાસ કમિશનરે ઈંટાળી ગ્રામ પંચાયત બરખાસ્ત કરવાનો આદેશ આપ્યો: રાજકીય વિવાદ અને 5 સામે 4 ની બહુમતીથી બજેટ ના મંજૂર રહેતા કડક કાર્યવાહી
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલી ઈંટાળી ગ્રામ પંચાયતમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય અને વહીવટી વિવાદનો અંતે કડક અંત આવ્યો છે. વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર પસાર કરવામાં પંચાયત સંપૂર્ણપણે નિષ્ફળ જતાં રાજ્યના વિકાસ કમિશનર દ્વારા કલમ-253 હેઠળ મોટી કાર્યવાહી કરીને ઈંટાળી ગ્રામ પંચાયતને સુપરસીડ એટલે કે વિસર્જિત જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિયમ મુજબ અંદાજપત્ર પસાર ન થવાને કારણે ગામના તમામ વિકાસ કામો અટકી પડ્યા હતા અને પંચાયત પોતાની પ્રાથમિક વૈધાનિક ફરજો બજાવવામાં અસમર્થ રહી હતી, જેના કારણે હવે પંચાયતનો વહીવટ ચલાવવા માટે ટૂંક સમયમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. આ સમગ્ર મામલે માળીયા હાટીના તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એમ. ડી. વૈષ્ણવે જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ મુજબ તમામ ગ્રામ પંચાયતોએ પોતાના આવનારા નાણાકીય વર્ષનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરીને દર વર્ષે 15 ડિસેમ્બર સુધીમાં તાલુકા પંચાયત કચેરીને મોકલી આપવાનું હોય છે. જોકે ઈંટાળી ગ્રામ પંચાયત દ્વારા નિયત સમયમર્યાદામાં અંદાજપત્ર તૈયાર કરી મોકલવામાં આવ્યું નહોતું. તાલુકા પંચાયત કચેરી તરફથી વારંવાર સૂચના આપવા છતાં અને અંદાજપત્ર પસાર કરવા માટે સતત 3 તકો પૂરી પાડવામાં આવી હોવા છતાં ગ્રામ પંચાયતમાં બહુમતીના અભાવે બજેટ પસાર થઈ શક્યું નહોતું. ઈંટાળી ગ્રામ પંચાયતમાં 4-4 વખત બેઠકો યોજવા છતાં સભ્યો વચ્ચેનો આંતરિક વિવાદ ઉકેલાયો નહોતો. પંચાયત કચેરી દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પણ કોઈ સુખદ પરિણામ આવ્યું ન હતું. અંતે તાલુકા પંચાયત કચેરી દ્વારા ઈંટાળી ગ્રામ પંચાયતને સુપરસીડ કરવા માટેનો વિગતવાર રિપોર્ટ જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતે પણ પંચાયતની આ અક્ષમતાને ધ્યાને રાખીને આગળની કડક કાર્યવાહી કરવા માટે વિકાસ કમિશનરની કચેરીને ભલામણ કરી હતી. જિલ્લા કક્ષાએથી મળેલા અહેવાલ બાદ વિકાસ કમિશનરની કચેરી દ્વારા પણ ઈંટાળી ગ્રામ પંચાયતને અંદાજપત્ર પસાર કરવા માટે વધુ એક તક આપવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયત ઈંટાળી અંદાજપત્ર તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીએ મોકલવામાં અસમર્થ રહી હતી અને બહુમતીના ઠરાવને સભ્યો દ્વારા ના મંજૂર કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિકાસ કમિશનર દ્વારા 6 ઓગસ્ટ 2026ના રોજ ખાસ સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુનાવણી દરમિયાન પણ ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે સહમતી બની શકી નહોતી અને સુનાવણીમાં 4 ની વિરુદ્ધ 5 ની બહુમતીથી અંદાજપત્ર મોકલવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સતત 4 થી તક બાદ પણ અંદાજપત્ર પસાર ન થતાં અને પંચાયત કાનૂની ફરજ પૂર્ણ કરવામાં નિષ્ફળ જતાં અંતે વિકાસ કમિશનર દ્વારા ગ્રામ પંચાયત ઈંટાળીને સુપરસીડ કરવાનો આખરી આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar