business
રાજકોટથી 5 નવી AC બસ શરૂ થશે:લાંબા સમય બાદ રાજકોટથી સીધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રીમિયમ બસ શરૂ કરવામાં આવશે, આવતીકાલે ધારાસભ્યના હસ્તે ઉદઘાટન
રાજકોટથી 5 નવી AC બસ શરૂ થશે. મુસાફરોની માંગને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રાજકોટ વિભાગ દ્વારા લાંબા સમય બાદ રાજકોટથી સીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રીમિયમ બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 5 નવીન AC સીટર લક્ઝરી બસ સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી પ્રવાસીઓને ઝડપી અને સમયસર મુસાફરીનો લાભ મળશે. નવીન બસ સેવાનું ઉદ્ઘાટન આવતીકાલે, તા. 29/08/2026 ને શનિવારે બપોરે 04:00 કલાકે ઢેબર રોડ સ્થિત એસ.ટી. બસ પોર્ટમાં યોજાશે. જેમાં રાજકોટનાં ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે આ બસોનું ફ્લેગ ઓફ કરાવવામાં આવનાર છે. આ નવીન સેવાઓમાં રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટની બસ નડિયાદ, આણંદ, બરોડા અને ડભોઈ થઈને રાત્રે 21:30 કલાકે ઉપડશે અને સવારે 06:00 કલાકે પહોંચશે, જેનું ભાડું રૂ. 747 રાખવામાં આવ્યું છે. સાંજે વાપસીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બપોરે 16:00 કલાકે નીકળી રાત્રે 00:45 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરાંત રાજકોટથી દાહોદ વચ્ચે પણ રાત્રે 20:00 કલાકે AC બસ ઉપડશે જેનું ભાડું રૂ. 784 છે. સાથે જ રાજકોટ, મોરબી અને જામનગર વચ્ચે પણ નવી AC બસ સેવા કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ એસ.ટી. વિભાગ 17 વોલ્વો, 20 AC સીટર અને 23 ઈલેક્ટ્રીક પ્રીમિયમ બસોનું સફળ સંચાલન કરી રહ્યું છે. રાજકોટના ન્યારી-1 ડેમમાં નર્મદાનીરની પુનઃ શરૂઆત, આજી-1માં હજી પ્રતિક્ષા રાજકોટમાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી પાણીની સંભવિત કટોકટી વચ્ચે મહાનગરપાલિકાની રજૂઆત બાદ સિંચાઈ વિભાગ દ્વારા એક સપ્તાહના વિરામ પછી ન્યારી-1 ડેમમાં ફરી નર્મદાના નીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે નોંધપાત્ર વરસાદ ન થતાં આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીની નવી આવક થઈ ન હતી. આથી મહાપાલિકાએ જૂન માસના અંત સુધી પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર પાસે 4000 MCFT નર્મદાનીરની માંગણી કરી હતી. અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા આજી-1 માં પાણી આપવાનું શરૂ કરાયા બાદ ટેકનીકલ કારણોસર રાજકોટનો પુરવઠો બંધ કરી દેવાયો હતો. જોકે હાલમાં પાણી કાપની ભીતિ વચ્ચે તંત્રવાહકોની સતત રજૂઆતોને પગલે ન્યારી-1 માં પાણીની આવક પુનઃ શરૂ થઈ છે, પરંતુ આજી-1 ડેમમાં હજી પણ નર્મદાનીર ઠલવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. રાજકોટમાં લોકમેળાને પગલે રેસકોર્સ રિંગ રોડ પર નો પાર્કિંગ, અને નો એન્ટ્રી જાહેર રાજકોટમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા લોકમેળામાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ જાળવવા અને અકસ્માતો અટકાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મેળા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ફરતે તમામ પ્રકારના ભારે વાહનો અને પેસેન્જર વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે, તેમજ લારી-ગલ્લા કે પાથરણા રાખવા પર મનાઈ હુકમ જારી કરાયો છે. જાહેરનામા મુજબ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર, જૂની NCC ચોકથી આમ્રપાલી અંડરબ્રિજ તથા ચાણક્ય બિલ્ડીંગથી ફૂલછાબ ચોક તેમક જિલ્લા પંચાયત ચોક સુધીના રસ્તાઓ તમામ વાહનો માટે બંધ અને નો પાર્કિંગ ઝોન રહેશે. ઉપરાંત ટ્રાફિક શાખા, ફુલછાબ ચોક અને આઈબી ઓફિસ આસપાસના રસ્તાઓ પર પણ પાર્કિંગની મનાઈ રહેશે. જોકે મુલાકાતીઓની સુવિધા માટે ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન સામે, રિલાયન્સ ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને મેમણ બોર્ડિંગ સહિત 14 સ્થળે પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં જન્માષ્ટમી બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના થવાની શક્યતા રાજકોટ મહાપાલિકામાં ભાજપ શાસકોની નવી મુદત શરૂ થયાને ત્રણ મહિના વિતવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક અંગે કોઈ હિલચાલ શરૂ થઈ નથી. સામાન્ય રીતે નવી બોડી કાર્યરત થયાના એકાદ મહિનામાં સમિતિની રચના થઈ જતી હોય છે, પરંતુ હવે જન્માષ્ટમીના તહેવારો બાદ નિમણૂક પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે. રાજકોટમાં કુલ 15 સભ્યોની શિક્ષણ સમિતિમાં 3 સભ્યો સરકાર નિયુક્ત અને 12 સભ્યો માટે ચૂંટણી થાય છે. આ વખતે કોંગ્રેસના 7 કોર્પોરેટર હોવાથી વિપક્ષના 1 સભ્યને સ્થાન મળશે, જેથી સમિતિમાં ભાજપના 11 અને કોંગ્રેસના 1 સભ્ય રહેશે. શિક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા માટે ભાજપના 150થી વધુ કાર્યકર્તાઓએ ઉત્સાહ દર્શાવ્યો છે. ઉપરાંત, શિક્ષણ સમિતિના ચેરમેનની 5 વર્ષની મુદત ઘટાડીને મનપાની અન્ય સમિતિઓની જેમ 2.5 વર્ષ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો રાજકોટના નંદવાણા બોર્ડિંગ ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા સામૂહિક જનોઈ બદલવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ પરંપરા સતત આગળ ધપાવવામાં આવી રહી છે. આ વર્ષે પણ 300થી વધુ ભૂદેવોએ ઉપસ્થિત રહીને વિધિવત રીતે યજ્ઞોપવિત્ર (જનોઈ) બદલવાની પવિત્ર વિધિમાં ભાગ લીધો હતો. બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ દર્શિત જાનીએ તમામ બહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
Read full article on Divya Bhaskar