top
વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં બનશે હોસ્ટેલ:મોરબીના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં રૂપિયા 50 કરોડના ખર્ચે બનશે હોસ્ટેલ
મોરબી જિલ્લાના કડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ દરમિયાન રહેવા અને ભોજન સહિતની સુવિધા મળી રહે તે હેતુથી ‘ઉમા ભવન-અમદાવાદ’ શૈક્ષણિક હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી અને અખિલ ગુજરાત પાટીદાર સેવા સમાજ-મોરબી દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં અંદાજે રૂ.50 કરોડના ખર્ચે 700 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 30થી વધુ યુનિવર્સિટી તથા 150થી વધુ કોલેજો આવેલી હોવાથી મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે બંને શહેરોમાં જાય છે. આ પૈકી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી હોસ્ટેલનું આયોજન કરાયું છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા નિકોલ વિસ્તારમાં સેલ્બી હોસ્પિટલ પાછળ અને મેંગો પ્લસ સિનેમા નજીક 3,119 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. ઉપરાંત રમત-ગમતની સુવિધા માટે સમાન કદની વધુ 3,119 ચોરસ મીટર જગ્યા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 700 દીકરી અને દીકરાઓ માટે રહેવાની વ્યવસ્થા હશે હોસ્ટેલમાં કુલ 700 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા રહેશે. તેમાં 350 દીકરીઓ અને 350 દીકરાઓનો સમાવેશ થશે. અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ માટે આવતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રહેઠાણ, ભોજન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રોજેક્ટના બાંધકામ માટે સમાજના દાતાઓ પાસેથી આર્થિક સહયોગ મેળવવામાં આવી રહ્યો છે. ભૂમિદાન, ઈંટ સહિતના વિવિધ સહયોગ માટે અલગ-અલગ રકમના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar