politics
જોશીપુરામાં ટીપી સ્કીમ-6 સામે રહીશોમાં ભારે આક્રોશ:જૂનાગઢમાં ટીપી સ્કીમ-6 નો વિરોધ: ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો અને 2000 લોકો વાંધા અરજીઓ સાથે નગર નિયોજક કચેરીએ પહોંચ્યા, ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી
જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારમાં રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘ટીપી સ્કીમ નંબર-6’ સામે સ્થાનિક રહીશોમાં પ્રચંડ જનાક્રોશ ફાટી નીકળ્યો છે. અગાઉ જૂનાગઢમાં ટીપી સ્કીમ નંબર 5 અને 7 નો વિરોધ થયા બાદ હવે ટીપી સ્કીમ નંબર 6 સામે પણ સ્થાનિકો સંગઠિત થઈને મેદાને આવ્યા છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં આશરે 5000 થી વધુ નોટિસો ફટકારવામાં આવતાં સ્થાનિક નાગરિકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે અને લોકોમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો છે. આ વિરોધ પ્રદર્શનમાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રે પણ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. જોશીપરાના વોર્ડ નંબર 6 ના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરો તમામ રાજકીય મતભેદો ભૂલીને લોકોની સાથે મેદાને ઉતર્યા છે.જોશીપરા વિસ્તારના લોકો પોતાની સ્કીમ રદ કરવાની રજૂઆત અને વાંધા અરજીઓ લઈને બહુમાળી ભવન ખાતે આવેલી નગર નિયોજક (TPO) ની કચેરી ખાતે પહોંચ્યા હતા. આશરે 1500 થી 2000 જેટલા લોકોના ટોળાએ કચેરી ખાતે એકત્ર થઈને સામૂહિક તેમજ વ્યક્તિગત રીતે ઉગ્ર રજૂઆતો કરી હતી. જોષીપરા શક્તિનગર સોસાયટીના પ્રમુખ જીતેન્દ્ર ઠાકરે તંત્ર અને નોટિસો અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા જે નોટિસો આપવામાં આવી છે તે કોની છે તેની જ લોકોને ખબર પડતી નથી. નોટિસમાં એવું ઘૂંટી-ઘૂંટીને લખવામાં આવ્યું છે કે સાત પેઢી વાંચે તો પણ સમજાય તેમ નથી. બેટરમેન્ટ ચાર્જ શું છે અને કોને ભરવાનો છે તેની કોઈ જ સ્પષ્ટતા વિના અંધાધૂંધ નોટિસો આપી દેવાતાં લોકો દસ્તાવેજો લઈને દોડધામ કરવા મજબૂર બન્યા છે.ટીપી સ્કીમ સામાન્ય રીતે એવા વિસ્તારમાં લાગુ કરવાની હોય છે જ્યાં જમીન બિનખેતી થઈ હોય પરંતુ પ્લોટિંગ કે રસ્તાઓ પડ્યા ન હોય. પરંતુ આ સોસાયટીને 48 વર્ષ થઈ ગયા છે અને ઈ.સ. 1978 થી બિનખેતી થયેલી છે. ત્યાં અગાઉથી પહોળા રસ્તાઓ છે, જોકે અમુકમાં સીસી રોડ છે અને અમુકમાં નથી. નગરપાલિકાની હજી બધી જગ્યાએ સીસી રોડ કરવાની તાકાત નથી, ત્યારે રસ્તા વધુ પહોળા કરવાથી ગામડાં જેવી હાલત થઈ જશે.નવા ડેવલપમેન્ટ માટે બેટરમેન્ટ ચાર્જ હોય, જૂના વિસ્તાર માટે નહીં. લોકો સરકારમાં રજૂઆત નથી કરતા એટલે સરકાર આપણી પાસેથી પૈસા લેવાનો પ્લાન બનાવે છે. જેમ સોમનાથમાં દરિયો જોવાના 5 રૂપિયા કર્યા, તળાવના રિનોવેશનમાં લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ 20 રૂપિયા એન્ટ્રી ફી નાખી દીધી, તેમજ ઉપરકોટ અને ગિરનારમાં રિનોવેશનના નામે પૈસા લેવાય છે, તેમ જનતા વેરો ભરે છે છતાં વધારાના પૈસા વસૂલવામાં આવે છે. કપાતથી થતા નુકસાન અંગે જીતેન્દ્ર ઠાકરે જણાવ્યું કે, હયાત રોડ અને સોસાયટીમાં ટીપી લાગુ ન હોય. અત્યારે જેને ખૂણા પર મકાન આવે છે તેમને ઊંઘ નથી આવતી અને બીપી વધી ગયું છે, કારણ કે બંને બાજુથી 3-3 ફૂટ જગ્યા કપાઈ જાય તો પાછળ માત્ર સંડાસ-બાથરૂમ જ વધે. તેમણે ચેતવણી આપી કે જો લોકો બોલશે નહીં તો તાનાશાહી વધશે, અને જરૂર પડી તો લોકો જંતર-મંતર જેવા ઉગ્ર આંદોલન માટે પણ 100% ગેરંટી સાથે તૈયાર થઈને આવ્યા છે. બીજી તરફ, વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જોશીપરા ખાતે રહેણાંક વિસ્તારમાં સરકાર દ્વારા જે ટીપી સ્કીમ નંબર-6 લાદવામાં આવી છે તેનો તમામ લોકોએ સખત વિરોધ કર્યો છે. ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા જ્યારે કાયદેસર બિનખેતી થઈ ત્યારે જ લે-આઉટ પ્લાન અને રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોડ, પાણી, રસ્તા અને ગટર જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ વર્ષોથી કમ્પ્લીટ છે. અગાઉથી વિકસિત વિસ્તારમાં ફરી ટીપી સ્કીમ લગાડીને રસ્તા પહોળા કરવા અને બેટરમેન્ટ ચાર્જ નાખવો તે અયોગ્ય છે. રહીશોના મકાનો કપાય છે છતાં કપાતનું કોઈ વળતર આપવામાં આવતું નથી અને સામેથી ટીપી ચાર્જ કે બેટરમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે છે. આ જ કારણે TPO ની નોટિસો મળતાં જ આખે આખા જોશીપરાની સોસાયટીઓના 1500 થી 2000 લોકો એકત્ર થયા હતા અને ટીપી સ્કીમ રદ કરવા વાંધા અરજીઓ આપી છે. જેમના મકાનો કપાય અને મોટો બેટરમેન્ટ ચાર્જ આવે તે તેમને પોસાય તેમ નથી. તેથી સરકારે ફેરવિચારણા કરીને આ ટીપી સ્કીમ-6 તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ.
Read full article on Divya Bhaskar