crime
પહેલીવાર જુઓ ઈસ્કોન-સરખેજ વચ્ચેના 6 લેન એલિવેટેડ બ્રિજનો ડ્રોન VIDEO:ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જવા સડસડાટ નીકળી જવાશે, 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
એસજી હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધી ફ્લાયઓવરનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી. આ કામ હવે દિવાળી પછી પૂરું થશે. 10 માસથી સરખેજ ચોકડીથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ વાહનો માટે બંધ કરી ડાયવર્ઝન અપાયું છે. તાજેતરમાં વાયએમસીએ ચારરસ્તાથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ ખોલવા વધુ ત્રીજીવાર મુદ્દત વધારી છે. બ્રિજ શરૂ થતાં જ ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જવા માટે ટ્રાફિકમાં ફસાયા વિના નીકળી જવાશે. 530 કરોડના ખર્ચે બનેલા સિક્સ લેન બ્રિજનો દિવ્ય ભાસ્કરે ડ્રોન વીડિયો તૈયાર કર્યો છે. 4.1 કિમી લાંબા એલિવેટેડ કોરિડોર માટે ત્રણ જંક્શન પર નાનકડાં બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેમાં કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જંક્શન પર એલિવેટેડ કોરિડોર પર ચઢવા અને ઊતરવા માટે કુલ છ નાના રેમ્પ બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાઇવે પર તમામ ઓવરબ્રિજ બન્યા બાદ એકપણ જંક્શન રહેશે નહીં. ગાંધીનગર તરફથી આવનારા વાહનચાલકો કર્ણાવતી જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને YMCA જંક્શન પર ઊતરી શકશે. જ્યારે સરખેજથી આવનારા વાહનચાલકો YMCA જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને કર્ણાવતી જંક્શન પર ઊતરી નહીં શકે. જો કે આ જંક્શનો પરથી બ્રિજ પર ચઢી શકાશે. આ બ્રિજ માત્ર 2.8 મીટર વ્યાસના સિંગલ પીલર પર ઉભો કર્યો છે. આ માટે દેશમાં દુર્લભ ગણાતી રિવર્સ T-Cap ટેક્નોલોજીનો અમદાવાદમાં પ્રથમ વખત ઉપયોગ થયો છે. જેમાં 40 મીટર લાંબા ઊંધા T-આકારના પ્રિ-કાસ્ટ ગર્ડર પીલર પર મુક્યા છે, જેનું વજન લોડ પાઇપ મારફતે જમીનમાં સરખા પ્રમાણમાં વહેંચાય છે. 2 લાખ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ ગાંધીનગરથી સાણંદ જતા વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે, આ રૂટના 80 ટકા વાહનચાલક પકવાનથી ચઢી સાણંદ ચોકડી જ ઊતરતા હોય છે. એલિવેટેડ કોરિડોર બન્યા પછી તેઓ પકવાન જંક્શનથી બ્રિજ ચઢીને સાણંદ ફ્લાયઓવર થઈને નીકળી જશે. ઇસરો તરફથી આવનારા વાહનચાલકોને જો એલિવેટેડ કોરિડોર પર ચડવું હોય તો ઉપર જવાની જરૂર નહીં રહે. જોકે એલિવેટેડ કોરિડોર બન્યા બાદ બ્રિજ નીચેનો ટ્રાફિક ઘટીને 10 ટકા રહી જશે. જ્યારે ગાંધીનગરથી રાજકોટ, મોરબી, સૌરાષ્ટ્ર તરફ ટ્રાફિક અવરોધ વગર પસાર થશે. પકવાન જંક્શનથી સાણંદ જંક્શન સુધી રોજ દોઢથી બે લાખ વાહનોની અવરજવર થાય છે.
Read full article on Divya Bhaskar