top
70 ‘ભૂતિયા’ PTC કોલેજોમાં એડમિશનનો આરોપ:યુવરાજસિંહનો મોટો દાવો, ‘NCTEએ વર્ષો પહેલાં માન્યતા રદ કરી છતાં વિદ્યાર્થીઓ ફાળવાયા’
ગુજરાતમાં PTC/D.El.Ed (ડિપ્લોમા ઈન એલિમેન્ટરી એજ્યુકેશન) પ્રવેશ પ્રક્રિયાને લઈને વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો સાથે કથિત મહાકૌભાંડનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં આશરે 70 એવી PTC/D.El.Ed કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, જેમની માન્યતા NCTE દ્વારા વર્ષ 2011થી 2014 દરમિયાન રદ કરવામાં આવી હતી. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે આ સંસ્થાઓ કાગળ પર બંધ હોવા છતાં શિક્ષણ વિભાગની પ્રવેશ પ્રક્રિયામાં કેવી રીતે સામેલ થઈ તે તપાસનો વિષય છે. ‘NCTEએ માન્યતા રદ કરી, છતાં એડમિશન કેવી રીતે?’ યુવરાજસિંહે રજૂ કરેલા દસ્તાવેજોના આધારે જણાવ્યું કે કેટલીક સંસ્થાઓએ વર્ષો પહેલાં પોતે જ કોલેજ બંધ કરવાની રજૂઆત કરી હતી અને ત્યારબાદ NCTEની પશ્ચિમ ક્ષેત્રીય સમિતિ દ્વારા તેમની માન્યતા રદ કરવામાં આવી હતી. તેમ છતાં 2025-26ની પ્રવેશ પ્રક્રિયામાં આવી સંસ્થાઓને વિદ્યાર્થીઓ ફાળવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શાહીબાગની કોલેજનું ઉદાહરણ આપ્યું અમદાવાદના શાહીબાગ સ્થિત બેસ્ટ પ્રાયમરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ અંગે રજૂ કરાયેલા દસ્તાવેજ મુજબ, સંચાલક ટ્રસ્ટે 4 જાન્યુઆરી 2013ના રોજ સંસ્થા બંધ કરવાની વિનંતી કરી હતી. ત્યારબાદ NCTE દ્વારા 6 માર્ચ 2013ના રોજ માન્યતા રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનો દાવો છે. યુવરાજસિંહના જણાવ્યા મુજબ, આ સંસ્થાની સિક્યોરિટી ડિપોઝિટ/FD પણ પરત કરવામાં આવી હતી. ભાવનગરની કોલેજની માન્યતા પણ 2014માં રદ થઈ હતી શ્રી સહજાનંદ પ્રાયમરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ, ઘોઘા રોડ, ભાવનગર અંગે પણ દસ્તાવેજ રજૂ કરાયા છે. સંસ્થાએ 24 જાન્યુઆરી 2014ના રોજ બંધ કરવાની વિનંતી કરી હતી અને NCTEએ 16 એપ્રિલ 2014ના રોજ માન્યતા રદ કરી હતી. યુવરાજસિંહના દાવા મુજબ, સંસ્થાને રૂ. 8 લાખની FD પરત આપવામાં આવી હતી. ‘હાઈકોર્ટ સમક્ષ મહત્વની હકીકત છુપાવાઈ’ એવો આરોપ યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે, કેટલીક સંસ્થાઓએ 2025માં ગુજરાત હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, તેઓ NCTE માન્યતા ધરાવતી સંસ્થાઓ છે અને માત્ર PAR ન ભરવાના કારણે તેમને પ્રવેશથી અટકાવવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉના NCTE Withdrawal Orders અંગેની મહત્વની હકીકત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી નહોતી. 30 માર્ચના હાઈકોર્ટના આદેશનો પણ ઉલ્લેખ આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં યુવરાજસિંહે જણાવ્યું કે, LPA No. 7330/2026માં 30 માર્ચ 2026ના આદેશ દરમિયાન માન્યતા 2013થી રદ થઈ હોવાનું છુપાવવાના મુદ્દે ગંભીર નોંધ લેવામાં આવી હતી અને NCTEને કેસમાં પક્ષકાર બનાવવાનો આદેશ થયો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો આધાર યુવરાજસિંહે પોતાના આવેદનપત્રમાં Adarsh Shiksha Mahavidyalaya v. Subhash Rahangdale અને Maa Vaishno Devi Mahila Mahavidyalaya v. State of U.P. જેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમના દાવા મુજબ, NCTEની માન્યતા વગરની સંસ્થામાં મેળવેલી શિક્ષક તાલીમની લાયકાત અંગે કાયદાકીય ગંભીર પ્રશ્નો ઊભા થાય છે અને આવી સંસ્થાઓમાં ગેરકાયદેસર પ્રવેશને નિયમિત કરી શકાય નહીં. યુવરાજસિંહે ખાસ સવાલ ઉઠાવ્યો છે કે જો ખરેખર માન્યતા રદ થયેલી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોય, પરીક્ષાઓ લેવામાં આવી હોય અને પરિણામ/માર્કશીટ આપવામાં આવી હોય તો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે? તેમણે વિદ્યાર્થીઓને દોષિત ન ગણાવી તેમની કારકિર્દી બચાવવા માટે વૈકલ્પિક માન્યતા પ્રાપ્ત કોલેજોમાં વ્યવસ્થા કરવાની માંગ કરી છે. SIT/ACB તપાસ સહિત 4 મોટી માંગણીઓ યુવરાજસિંહ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ મુખ્યત્વે ચાર માંગણીઓ મૂકી છે: ‘પગલાં નહીં લેવાય તો PIL અને રાજ્યવ્યાપી વિરોધ’ આક્ષેપોની તાત્કાલિક તપાસ નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવાની અને રાજ્યવ્યાપી વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. સમગ્ર મામલે NCTEના Withdrawal Orders, હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સહિતના દસ્તાવેજોને આધાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar