business
કિર્તીદાન ગઢવી અને તેમના દીકરાએ 8-10 કરોડના સ્પોન્સર લાવવાના હતા:સ્પોન્સર આવ્યા પણ તેમના પૈસા આવ્યા નથી, દર્શન શાહનું ભાગીદારીમાં નામ નથી છતાં ફરિયાદ: પાર્શ્વ જવેલર્સના વકીલ
જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીના 2025માં નોરતા નગરીના નામે ગરબા યોજાયા હતા. જેમાં ભાગીદાર અને પાર્શ્વ જવેલર્સના માલિક દર્શન શાહે બારોબર પાસ વેચીને 10 કરોડની ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે દર્શન શાહના વકીલ કિશન ચકવાવાલાએ કહ્યું હતું કે, નોરતા નગરીના ગરબામાં દર્શન શાહ ભાગીદાર જ નથી. કિર્તીદાન ગઢવીએ ઓળખાણનો ઉપયોગ કરી તેમના ગ્રુપે પોલીસથી ખોટી ફરિયાદ નોંધાવી છે. જે અંગે હાઈકોર્ટમાં પોલીસ અને કિર્તીદાન ગઢવીના ગ્રુપ સામે અરજી કરીશું. 'કિર્તીદાન ગઢવીના ગ્રૂપે ખોટી ફરિયાદ નોંધાવી' પાર્શ્વ જવેલર્સના માલિક દર્શન શાહના વકીલ કિશન ચકવાવાલાએ જણાવ્યું હતું કે, નોરતા નગરી ગરબામાં દર્શન શાહ ભાગીદાર નથી. નોરતા નગરીમાં દર્શન શાહના પરિચિત જયેશ પરમાર ભાગીદાર હતા. એગ્રિમેન્ટ ડીડ પર જયેશ પરમાર, અર્જન ભૂતિયા, કૃષ્ણ ગઢવી અને જીગર ચૌહાણ ભાગીદાર હતા, છતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં કિર્તીદાન ગઢવીના ગ્રુપ દ્વારા ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં દર્શન શાહનું નામ ઉમેરવામાં આવ્યું છે. અગાઉ પણ જયેશ પરમારને પોલીસ અધિકારીઓએ ખોટી રીતે હેરાન કર્યા હતાં. 'કિર્તીદાને નક્કી કરેલ કોઈ પણ રકમ ભાગીદારોને મળી નથી' 'ગરબામાં કિર્તીદાન ગઢવી અને તેમના દીકરા કૃષ્ણ ગઢવીએ 8થી 10 કરોડના સ્પોન્સર લાવવાના હતા, સ્પોન્સર આવ્યા પણ તેમના પૈસા આવ્યા નથી. કિર્તીદાન ગઢવીએ નક્કી કરેલ કોઈ પણ રકમ ભાગીદારોને મળી નથી. સમગ્ર પ્રકરણમાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવી સ્થિતી ઉભી થઈ છે. કિર્તીદાન ગઢવીની ભલામણથી જ અગાઉ પણ જયેશ પરમારને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા જે અંગે કોર્ટમાં અરજી કરી હતી. અગાઉની અરજીમાં પણ કિર્તીદાન ગઢવી અને અન્ય લોકો કોર્ટમાં હાજર રહ્યા નથી. દર્શન શાહ બિલકુલ નિર્દોષ હોવા છતાં તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.' તમામ પ્રકરણ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ અમારી ત્રણ ફરિયાદ પેન્ડિંગ છે અને તે સાથે અમે ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાર પિટિશન કરી છે. જેમાં ફેબ્રુઆરી, મે અને જૂનમાં અમારા લાભમાં ટાઈમ ટુ ટાઈમ ઓર્ડરો થયા છે. આ તમામ પ્રકરણ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં, કોગ્નિઝન્સ લેવાઈ ગયા હોવા છતાં અત્યારે 9 સપ્ટેમ્બર, 2026ના રોજ તાજેતરમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે તે પણ એક શંકાનો વિષય છે. કારણ કે આ સમગ્ર પ્રકરણ હતું ગયા વર્ષનું અને અત્યારે નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, જેથી અમને બદનામ કરવા માટે મોટિવેટેડ અટેમ્પ્ટ છે અમને રિડિક્યુલ કરવાનું. 'સ્પોન્સરના ઇવેન્ટમાં એક પણ પૈસા આવ્યા નથી' 'અમે તેમની સામે આર્બિટ્રેશન પિટિશન કરી છે. આર્બિટ્રેશન એવોર્ડ મેળવવા માટે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સાહેબે હુકમ કરેલો છે અને તેમાં એવું લખેલું છે કે ₹9 કરોડની ઉચાપતની બાબત છે. 9 કરોડ તેઓએ સ્પોન્સર પાસેથી લાવીને આપવાના હતા, જેમાં પ્રોગોન ગ્રુપ, જેમાં લા મેરિડિયન ગ્રુપ ઇન્વોલ્વ હતા. હવે તેઓએ પૈસા આપ્યા કે કેમ તે કીર્તિદાન ગઢવી અને બંનેની વચ્ચેનો વિષય છે, પણ આ ઇવેન્ટમાં એક પણ પૈસા આવ્યા નથી, જેથી અમે તેઓને પણ નોટિસો પાઠવી છે.' 'ડાયરાના કલાકારોની વાતોમાં આવીને માત્ર માઇલેજ મેળવવા ફરિયાદો' 'ફરિયાદનો સમગ્ર આધાર જ તદ્દન ખોટો, બોગસ અને નિરર્થક છે, કારણ કે દર્શન શાહને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. તે જ રીતે, રવિ શાહ માત્ર જયેશ પરમારના મિત્ર હોવાના હોદ્દાથી જ તેમનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે નોટિસ પાઠવીને બોલાવવા છતાં તેઓ હાજર રહ્યા નથી કે હિસાબ આપ્યો નથી, જેથી કોર્ટના હુકમો અમારી તરફેણમાં અને તેમની વિરુદ્ધમાં આવ્યા છે. તેમ છતાં, જો પોલીસ આવા નામી-બેનામી લોકો કે ડાયરાના કલાકારોની વાતોમાં આવીને માત્ર માઇલેજ મેળવવા ખાતર ફરિયાદો દાખલ કરશે, તો અમે તેમની સામે પણ કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરીશું.' હાઈકોર્ટમાં અમે માનહાનિનો કેસ કરશું 'ખોટી માઇલેજ મેળવવા માટે તથા અદાવત રાખીને કીર્તિદાન ગઢવી તથા તેના ગ્રુપ દ્વારા હાલની આ ફરિયાદ નોંધાવી છે. જે બદલ અમે કાયદેસરની કાર્યવાહી કરશું, ગુજરાત હાઈકોર્ટના પણ બારણાં ખખડાવશું અને આ સાથે અમારી બદનામી તથા બદનક્ષી કરતા તમામ વ્યક્તિઓ સામે અમે માનહાનિનો કેસ કરશું.'
Read full article on Divya Bhaskar