crime
રૂ.8 લાખના ચેક રિટર્ન કેસમાં PGVCL કર્મચારીની સજા યથાવત:રાજકોટ સેશન્સ કોર્ટે અપીલ તથા જામીન અરજી ફગાવી, એક વર્ષની સજા અને વળતરનો હુકમ કાયમ રાખ્યો
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને PGVCLમાં ફરજ બજાવતા યશરાજ અનકભાઈ બોઘરાને રૂ.8 લાખના ચેક રિટર્ન કેસમાં ટ્રાયલ કોર્ટે ફરમાવેલી સજા યથાવત રાખી રાજકોટની સેશન્સ કોર્ટે તેમની અપીલ નામંજૂર કરી છે તેમજ અપીલ પેન્ડિંગ રહે તે દરમિયાન જામીન પર મુક્ત કરવાની અરજી પણ ફગાવી દીધી છે. ગાંધીગ્રામમાં રહેતા નિતાબેન નરેન્દ્રભાઈ શાહે તેમના પડોશી યશરાજ બોઘરા વિરુદ્ધ રૂ.8 લાખના ચેક રિટર્ન અંગે ફરિયાદ કરી હતી. આરોપીને નાણાકીય જરૂરિયાત ઊભી થતાં ફરિયાદી પાસેથી સંબંધના દાવે રૂ.8 લાખ મેળવ્યા હતા અને રકમ પરત કરવા આપેલો ચેક પરત ફર્યો હતો આ અંગે કેસ ચાલ્યા બાદ સજા થતાં અપીલ દરમિયાન બંને પક્ષે સમાધાન કરી ફરી રૂ.8 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. જોકે, આ ચેક પણ પરત ફરતાં ફરીથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને એક વર્ષની સજા તથા રૂ.8 લાખ એક માસમાં ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો અને રકમ નહીં ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદીએ દસ્તાવેજી તથા મૌખિક પુરાવાથી કાયદેસરનું લેણું પુરવાર કર્યું છે. ચેક પરની સહી અંગે પણ આરોપીએ ઇનકાર કર્યો નથી. ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન કરવા આરોપી તરફથી સચોટ અને મજબૂત પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. ઉપરાંત આરોપી સામે અગાઉ પણ ચેક રિટર્નના અનેક કેસો ચાલતા હોવાનો પુરાવો રેકર્ડ પર આવ્યો હતો. આરોપી આવા ગુનાઓ કરવાની ટેવ ધરાવતો હોવાનું જણાવી હેબિચ્યુઅલ ઓફેન્ડર હોય રહેમ રાખી શકાય નહીં તેવી રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના સજા તથા વળતરના હુકમમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ આધાર ન હોવાનું ઠરાવી અપીલ તેમજ જામીન અરજી બંને નામંજૂર કરી હતી. ઉપરોકત કામમાં ફરીયાદી નિતાબેન શાહ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા, નીરવ દોંગા તથા મદદમાં આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા હતા.
Read full article on Divya Bhaskar