education
દીવાન-બલ્લુભાઈ શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન:90 વિદ્યાર્થીઓએ 45 વર્કિંગ મોડેલ રજૂ કર્યા
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક શિક્ષણ પ્રત્યે રસ કેળવવાનો હતો. આ પ્રવૃત્તિમાં 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ 45 વર્કિંગ મોડેલ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ વિષયો પર આધારિત નવીન અને કાર્યરત પ્રયોગો તેમજ મોડેલો રજૂ કર્યા હતા. તેમણે પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક વિચારશક્તિ અને પ્રયોગાત્મક કૌશલ્યનું પ્રદર્શન કર્યું. દરેક પ્રોજેક્ટ પાછળના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેના વ્યવહારુ ઉપયોગ વિશે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક માહિતી આપી હતી. આચાર્ય બિપીનચંદ્ર પંચાલ, કો-ઓર્ડિનેટર તેજલબહેન ડણાક, શિક્ષકો અને ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ દરેક પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી પ્રયોગોની કાર્યપદ્ધતિ, ઉપયોગિતા અને વૈજ્ઞાનિક આધાર વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આચાર્ય બિપીનચંદ્ર પંચાલે જણાવ્યું હતું કે, વિજ્ઞાન મેળા જેવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને સમસ્યાના ઉકેલ માટેની વિચારશક્તિ વિકસાવે છે. તેમણે ઉમેર્યું કે, શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરે, અવલોકન કરે અને પોતાના વિચારોને સર્જનાત્મક રીતે રજૂ કરે. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને ભવિષ્યના સંશોધન અને નવીનતાની દિશામાં પ્રેરિત કરે છે. આ વિજ્ઞાન મેળાનું આયોજન પ્રવૃત્તિ સંચાલક રચનાબહેન ભટ્ટ અને હરેશભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શિક્ષકોના સહયોગ અને વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
Read full article on Divya Bhaskar