politics
આપ દ્વારા ચૈતર વસાવાની મુક્તિની માંગ:તાપી કલેક્ટર કચેરીએ રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કરાયું
આમ આદમી પાર્ટી (AAP) એ તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની તાત્કાલિક મુક્તિની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું. પાર્ટીએ તેમના સામેના કેસને રાજકીય બદઈરાદાપૂર્વકનો ગણાવ્યો હતો. રાષ્ટ્રપતિને સંબોધિત આ આવેદનપત્ર કલેક્ટર અને અધિક કલેક્ટરની ગેરહાજરીમાં મામલતદારને સોંપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં 'આપ'ના પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, રાજુભાઈ વળવાઈ, બારડોલી લોકસભા ઇન્ચાર્જ રુસ્તમ ગામીત અને તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામીત સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ પોસ્ટરો સાથે કચેરીએ પહોંચી રાષ્ટ્રપતિ સમક્ષ ન્યાયની માંગ કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈએ આક્ષેપ કર્યો કે ધારાસભ્ય ચૈતર વસાવા પ્રજાના પ્રશ્નો અને આદિવાસીઓના અધિકારો માટે સતત અવાજ ઉઠાવે છે. તેમણે દાવો કર્યો કે વન વિભાગના મુદ્દે તેમની સામે જાણીજોઈને ખોટા કેસો અને પુરાવાઓ ઊભા કરવામાં આવ્યા છે.આ ઘટનાથી સમગ્ર ગુજરાતના આદિવાસી, દલિત અને વંચિત સમાજમાં આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે પાર્ટી દ્વારા તાપી જિલ્લામાં ખાસ હસ્તાક્ષર અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું, જેને વ્યાપક સમર્થન મળ્યું હતું.આ દરમિયાન, આમ આદમી પાર્ટીએ ચોમાસાની ઋતુમાં પ્રજાના પ્રશ્નો લઈને આવેલી જનતા સમક્ષ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ શાસન અને કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરીને ભાજપ સરકાર દ્વારા અપાયેલી સજામાંથી ચૈતર વસાવાને ત્વરિત મુક્ત કરે તેવી પ્રબળ માંગ દોહરાવી હતી.
Read full article on Divya Bhaskar