top
આપના પ્રદેશ મંત્રી પિયુષ પટેલ અને સર્જન વસાવા જામીન પર:63 દિવસ બાદ જેલમાંથી બહાર આવતા કાર્યકરોએ સ્વાગત કર્યું, ભાજપ પર પ્રહાર
ભરૂચ સબજેલમાં લાંબા સમયથી બંધ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી પિયુષ પટેલ અને ઝઘડિયાના આગેવાન સર્જન વસાવા 63 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા છે. તેમને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા. જેલમાંથી બહાર આવતા જ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ પિયુષ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દેશની ન્યાયપાલિકાનો આભાર માન્યો અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. પિયુષ પટેલે કહ્યું કે, "અમે ન્યાયતંત્રનો આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે અમે ક્યારેય ઝૂકીશું નહીં." તેમણે વધુમાં કહ્યું કે, "GIDC વિસ્તારના શ્રમિકો અને કામદારોના હક માટે અમે જે જોશ અને જુસ્સાથી લડતા હતા, તે લડત આગળ પણ એટલા જ મજબૂત અવાજે ચાલુ રાખીશું." પિયુષ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવા, ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી જેવા નેતાઓના સંઘર્ષમાંથી પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, "ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દેવાયા છે. તેઓ હજુ પણ જેલમાં છે, જેનું અમને દુઃખ છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, "અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે તેઓ પણ ટૂંક સમયમાં જામીન પર બહાર આવશે અને ફરી લોકોની સેવામાં લાગી જશે." કાર્યકરોએ જેલ બહાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમનું સ્વાગત કર્યું. આ પછી બંને આગેવાનોએ કહ્યું કે, તેઓ રાજકીય દબાણ કે જેલવાસથી ડર્યા વિના જનતા અને કામદારોના પ્રશ્નો માટે સતત લડતા રહેશે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar