top
ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકર્તાઓનો હલ્લાબોલ:Ph.D. પ્રવેશ પ્રક્રિયામાં HPP બેઠકો દર્શાવવા અને ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવા ઉગ્ર વિરોધ
ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા Ph.D. પ્રવેશ પ્રક્રિયામાં સર્જાયેલી અનિયમિતતાઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી કુલપતિની કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ક્લાઈમેટ ચેન્જ સહિતના HPP ધોરણે ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની બેઠકો અને વિષયોની સ્પષ્ટ માહિતી સત્તાવાર પ્રવેશ પોર્ટલ પર ન દર્શાવવામાં આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. પરિષદે આ વિષયોમાં તાત્કાલિક કાયમી અધ્યાપકોની નિમણૂક કરી ખાલી બેઠકો પોર્ટલ પર ઉમેરવા તેમજ આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ લંબાવવા ભારપૂર્વક માંગણી કરી છે અને જો વહીવટી તંત્ર યોગ્ય ઉકેલ નહીં લાવે તો વ્યાપક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કાયમી ભરતીના અભાવે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત: ABVP ABVPના ગુજરાત યુનિવર્સિટી પ્રમુખ વિરલ દેવમોરારીએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સમર્થ પોર્ટલ પર જે અભ્યાસક્રમોમાં અધ્યાપકો નથી તેવા મહત્વના વિષયોના વિકલ્પો જ બંધ કરી દેવાયા છે. કાયમી પ્રાધ્યાપકોની ઘટ હોવાના બહાને સત્તાધીશો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો સીધો ઇનકાર કરી રહ્યા છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી તાકીદે મુદત વધારવામાં આવે અને વહેલી તકે કાયમી સ્ટાફની ભરતી કરીને વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયમાં Ph.D. કરવાની તક પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. Ph.D. માર્ગદર્શન માટે UGCના નિયમોનું પાલન અનિવાર્ય: ઇન્ચાર્જ કુલપતિ વિદ્યાર્થી સંગઠનની રજૂઆત સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ સ્પષ્ટતા કરી હતી કે, પીએચડી પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે UGCના નિયમો અનુસાર જ હાથ ધરવામાં આવે છે. નિયમ મુજબ માત્ર માન્ય કાયમી અધ્યાપકો જ સંશોધન માર્ગદર્શક (ગાઈડ) બની શકે છે, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વધુમાં વધુ 4, એસોસિએટ પ્રોફેસર 6 અને પ્રોફેસર 8 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે છે. કાયમી ફેકલ્ટી પાસે રહેલી ખાલી જગ્યાઓની સંખ્યાના આધારે જ પોર્ટલ પર બેઠકો ફાળવવામાં આવે છે. બેઠકોની ચકાસણી કરી યોગ્ય ઉકેલ લાવવાની વહીવટી તંત્રની ખાતરી ડૉ. જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ યુનિવર્સિટી માટે ઉપલબ્ધ અધ્યાપકોની મર્યાદા બહાર જઈને મનસ્વી રીતે બેઠકો વધારવી શક્ય નથી હોતી. અધ્યાપકોની ઉપલબ્ધતા વિના સીધા પ્રવેશ ફાળવી શકાતા નથી. જોકે, વિદ્યાર્થી પરિષદની રજૂઆતને ધ્યાને રાખીને સમગ્ર બાબતનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે અને જો કોઈ વિભાગમાં નિયમ અનુસાર બેઠકો ખાલી જણાશે તો વિદ્યાર્થીઓના હિતમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read full article on Divya Bhaskar