top
અડાલજમાં ફિલ્મી ઢબે અપહરણ:નોકરી છોડી નવો ધંધો શરૂ કરનાર યુવકનું પૂર્વ શેઠ અને પુત્રએ અપહરણ કર્યું, ખેતરમાં લઈ જઈ ઢોરમાર મારી છોડી મુક્યો
ગાંધીનગરના અડાલજ પોલીસ મથક હેઠળ આવતા ઝુંડાલ વિસ્તારમાંથી પૂર્વ શેઠ અને તેના પુત્ર દ્વારા એક યુવકનું ઘરમાંથી અપહરણ કરી જીવલેણ હુમલો કરવાનો કિસ્સો સામે આવ્યો છે. નોકરી છોડીને પોતાનો સ્વતંત્ર અને સમાન પ્રકારનો બિઝનેસ શરૂ કરવાની સામાન્ય અદાવતમાં બાપ-દીકરાએ સાગરિતો સાથે મળીને યુવકને તેના જ ફ્લેટમાંથી કારમાં ઉઠાવી લીધો હતો. ત્યારબાદ આંખે પટ્ટી બાંધી સુમસાન ખેતરમાં લઈ જઈ ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છોડી મૂક્યો હતો. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે અડાલજ પોલીસે પિતા-પુત્ર સહિત ચાર શખ્સો સામે અપહરણ અને મારપીટનો ગુનો દાખલ કર્યો છે. નોકરી છોડી પોતાની કંપની સ્થાપી મૂળ ધોરાજીના વતની અને હાલ ગાંધીનગરના ઝુંડાલ સ્થિત અક્ષર એફોર્ડ ફ્લેટમાં રહેતા નિરવ જગદીશભાઈ વાજા અગાઉ અમિત અગ્રવાલની ‘એગ્રી ઓર્ગેનિક સોલ્યુશન’ નામની પેઢીમાં ડિજિટલ માર્કેટિંગ અને સેલ્સનું કામકાજ સંભાળતા હતા. આ ક્ષેત્રમાં અનુભવ મેળવ્યા બાદ તેમણે નોકરીમાંથી રાજીનામું આપી સ્વતંત્ર રીતે ‘ગુજરાત એગ્રો ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ’ નામથી પોતાનો નવો વ્યાપાર શરૂ કર્યો હતો, જેનું ગોડાઉન ચિલોડા ખાતે આવેલું છે. પોતાના જ પૂર્વ કર્મચારીએ સમાન પ્રકારનો ધંધો શરૂ કરતાં શેઠ અમિત અગ્રવાલ ભારે રોષે ભરાયા હતા. સિક્યુરિટી ગાર્ડને ધમકાવી ઇનોવા કારમાં અપહરણ કર્યું ગત સાંજે નિરવભાઈ પોતાના ફ્લેટમાં એકલા હતા ત્યારે ડોરબેલ વાગતાં દરવાજો ખોલતા જ અમિત અગ્રવાલ, તેનો પુત્ર નરેન્દ્ર અગ્રવાલ અને બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. "તેં મારા ત્યાં નોકરી કરીને મારા જેવો જ ધંધો કેમ ચાલુ કર્યો?" તેમ કહી ચારેય શખ્સોએ બિભત્સ ગાળાગાળી કરી માર મારવાનું શરૂ કર્યું હતું. અમિત અગ્રવાલે નિરવનો કોલર પકડી રાખ્યો હતો અને પુત્ર નરેન્દ્ર તેમજ સાગરિતોએ તેમને લિફ્ટ મારફતે નીચે પાર્કિંગમાં ઢસડી લીધા હતા. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે વચ્ચે પડી બચાવવા પ્રયાસ કરતાં આરોપીઓએ "આ અમારો અંગત મામલો છે, વચ્ચે પડશો નહીં" તેવી ધમકી આપી ગાર્ડને હટાવી દીધો હતો અને નિરવને બળજબરીપૂર્વક ઇનોવા કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. ચિલોડા લઈ જઈ આંખે કાળી પટ્ટી બાંધી અપહરણકર્તાઓ નિરવને કારમાં બેસાડી સીધા ચિલોડા ખાતે આવેલા તેમના ગોડાઉને લઈ ગયા હતા. ત્યાં તેમની આંખો પર કાળી પટ્ટી બાંધી દીધા બાદ અજાણ્યા સુમસાન ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં પિતા-પુત્ર અને અન્ય બે શખ્સોએ ભેગા મળીને લાકડીઓ અને ગડદાપાટુથી નિરવ પર જીવલેણ હુમલો કર્યો હતો. "જો અમારા વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરી તો જાનથી પતાવી દઈશું" તેવી ધમકી આપી આરોપીઓ તેમને હાઈવે પર રિક્ષામાં બેસાડી નાસી છૂટ્યા હતા. અડાલજ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી ઈજાગ્રસ્ત હાલતમાં ઘરે પરત ફરેલા નિરવભાઈએ પરિવારની મદદથી તાત્કાલિક અડાલજ પોલીસ સ્ટેશન પહોંચી પૂર્વ શેઠ અમિત અગ્રવાલ, નરેન્દ્ર અગ્રવાલ અને બે અજાણ્યા સાગરિતો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. અડાલજ પોલીસે ગુનાહિત કાવતરું, અપહરણ, ઘરમાં ઘૂસીને હુમલો કરવો અને ધાકધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar