top
અમદાવાદમાં ACBનો સપાટો:GST એકાઉન્ટ અનફ્રીઝ કરવા ₹25 હજારની લાંચ લેતાં સ્ટેટ ટેક્સ ઓફિસર અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ઝડપાયા
વેપારીનું ફ્રીઝ થયેલું બેંક ખાતું ફરી ચાલુ (અનફ્રીઝ) કરવાના અવેજ પેટે ₹25,000ની લાંચ લેતાં લાલ દરવાજા સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરીના સ્ટેટ ટેક્સ ઓફિસર (STO) તેમજ રાજ્ય વેરા નિરીક્ષક (STI) ને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ રંગેહાથ ઝડપી લીધા છે. બંને સરકારી બાબુઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટી રિટર્ન પેન્ડિંગ રહેતાં બેંક ખાતું ફ્રીઝ કરાયું હતું મળતી વિગતો અનુસાર, ફરિયાદી ‘યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજી’ નામે એર કોમ્પ્રેસરના વેચાણ અને સર્વિસનો વ્યવસાય ચલાવે છે. તેઓ નિયમિત રીતે પેઢીનું ત્રિમાસિક જીએસટી (GST) રિટર્ન ભરતા હતા. જોકે, નાણાકીય તંગીના કારણે તેઓ એપ્રિલથી જૂન માસનું જીએસટી રિટર્ન સમયસર ફાઇલ કરી શક્યા ન હતા. પરિણામે, સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી દ્વારા તેમની પેઢીનું બચત બેંક ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. એકાઉન્ટ અનફ્રીઝ કરવા ₹25,000ની લાંચની માગણી બેંક ખાતું બ્લોક થઈ જતાં ફરિયાદી લાલદરવાજા બહુમાળી ભવન સ્થિત સહાયક રાજ્ય વેરા કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓ રાજ્ય વેરા નિરીક્ષક મોહંમદ અઝીઝ કાદરખાન મન્સૂરીને મળ્યા હતા. મોહંમદ અઝીઝે સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશકુમાર ઠાકોર સાથે ચર્ચા કર્યા બાદ બેંક એકાઉન્ટ ફરી ચાલુ કરવા પેટે ₹25,000 લાંચની ખુલ્લેઆમ માગણી કરી હતી. ફરિયાદી આ ભ્રષ્ટ વ્યવહારમાં જોડાવા માંગતા ન હોવાથી તેમણે સીધો અમદાવાદ ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. બંને લાંચિયા અધિકારીઓ રંગેહાથ દબોચાયા ફરિયાદના આધારે ACBની ટીમે લાલદરવાજા બહુમાળી બિલ્ડિંગ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. લાલ દરવાજા કચેરી ખાતે જ્યારે ફરિયાદી પાસેથી ₹25,000ની લાંચ સ્વીકારવામાં આવી રહી હતી ત્યારે જ અગાઉથી ગોઠવાયેલી ACBની ટીમે દરોડો પાડી બંને અધિકારીઓને પંચોની હાજરીમાં રંગેહાથ ઝડપી લીધા હતા. ACB એ લાંચની રકમ રિકવર કરી બંને આરોપીઓ સામે આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar