top
અમદાવાદની સ્કૂલોમાં 3 મહિના પછી પણ 199 શિક્ષકોની ઘટ:TAT પાસ ઉમેદવારો ન મળતા હવે બિન-TAT ઉમેદવારોથી જ્ઞાન સહાયકની ભરતી કરાશે
અમદાવાદ શહેરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 3 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં અનેક શાળાઓમાં હજુ સુધી જરૂરી વિષય શિક્ષકોની ફાળવણી થઈ શકી નથી. શહેરની શાળાઓમાં ખાલી પડેલી 955 જેટલી શિક્ષકોની જગ્યાઓ જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ભરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે પ્રથમ અને દ્વિતીય રાઉન્ડના અંતે માત્ર 756 જગ્યાઓ જ ભરાઈ શકી છે, જ્યારે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના વિષયોના 199 જેટલા જ્ઞાન સહાયકો હજુ પણ મળ્યા નથી. યોગ્ય લાયકાત ધરાવતા TAT (શિક્ષક અભિરુચિ કસોટી) પાસ ઉમેદવારો ન મળતાં હવે તંત્ર ત્રીજો રાઉન્ડ બહાર પાડીને TAT પાસ ન કરી હોય તેવા બિન-અનુભવી ઉમેદવારોની અરજી સ્વીકારી ખાલી જગ્યાઓ ભરવા મજબૂર બન્યું છે. શિક્ષકો વિના વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો, સંચાલક મંડળની રજૂઆત શાળાઓ શરૂ થયા બાદ ભરતી પ્રક્રિયા મોડી શરૂ થવાના કારણે સતત બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓને શિક્ષકો વગર જ અભ્યાસ કરવાની નોબત આવી છે. અનુભવી શિક્ષકોની અછતના કારણે હવે બિન-TAT ઉમેદવારોને વર્ગખંડમાં ઉતારવાની સ્થિતિ સર્જાતાં શિક્ષણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ ભરતી પ્રક્રિયા સમયસર અને સત્ર શરૂ થતાં પહેલાં પૂર્ણ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. મે મહિનામાં પ્રક્રિયા થાય તો સત્રની શરૂઆતમાં જ શિક્ષકો મળે: ભાસ્કર પટેલ રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે અગાઉ DEO ની મંજૂરીથી શાળા સંચાલકો અવેજી શિક્ષકોની વ્યવસ્થા કરી લેતા હતા. ત્યારબાદ પ્રવાસી શિક્ષક અને હવે જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી છે, જેમાં સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા મેરિટ અને જાહેરાતની કામગીરી કરવામાં આવે છે. બે વખત TAT પાસ, એક વખત TAT પાસ અને છેલ્લે બિન-TAT ઉમેદવારોની યાદી બનાવવામાં જ ઘણો કિંમતી સમય વેડફાઈ જાય છે. જો આ સમગ્ર ભરતી પ્રક્રિયા દર વર્ષે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ પૂર્ણ કરી દેવામાં આવે તો શાળાઓ શરૂ થતાંની સાથે જ શિક્ષકો હાજર થઈ શકે. કરાર આધારિત નીતિથી શિક્ષકો ગેરહાજર, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મહામંડળે વધુમાં જણાવ્યું હતું કે 11 મહિનાના કરાર સામે માત્ર 10 મહિનાનું જ મહેનતાણું અપાતું હોવાથી ઘણા વિષય શિક્ષકો ઓર્ડર મળ્યા બાદ પણ શાળામાં હાજર થતા નથી. પ્રથમ સત્રની પરીક્ષાઓ નજીક આવી રહી હોવાથી જે શાળાઓ સક્ષમ છે તેઓ પોતાના ખર્ચે બહારથી શિક્ષકો રાખીને કામ ચલાવી રહી છે, પરંતુ નબળી આર્થિક સ્થિતિ ધરાવતી ગ્રાન્ટેડ શાળાઓના ગરીબ બાળકો શિક્ષકો વિના ભણતરથી વંચિત રહી રહ્યા છે. ત્રીજા રાઉન્ડમાં બિન-TAT ઉમેદવારોને તક અપાશે: DEO રોહિત ચૌધરી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પારદર્શક મેરિટ પદ્ધતિથી સમયસર શિક્ષકો મળી રહે તે માટે સતત પ્રયાસો ચાલુ છે. શહેરમાં 955 ખાલી જગ્યાઓ પૈકી 756 જગ્યાઓ ભરાઈ ગઈ છે અને ગુજરાતી માધ્યમની તમામ ગ્રાન્ટેડ જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે. હાલ અંગ્રેજી અને અન્ય માધ્યમોની 199 જેટલી જગ્યાઓ ખાલી છે, જેના માટે ટૂંક સમયમાં ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. જો આ રાઉન્ડમાં પણ પૂરતા TAT પાસ ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો નિયમાનુસાર અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજીઓ સ્વીકારીને તમામ ખાલી જગ્યાઓ સત્વરે ભરી દેવામાં આવશે.
Read full article on Divya Bhaskar