politics
'અમે બંધારણના રક્ષક છીએ, ખાખીના જોરે ડરાવી નહીં શકાય':વક્ફ બોર્ડ અધ્યક્ષની પોલીસ ફરિયાદ સામે સુરતમાં કોંગ્રેસના ઉધનાવાલા અને સાયકલવાલાનો લલકાર
ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષ અને ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ ડૉ. મોહસીન લોખંડવાલા દ્વારા કોંગ્રેસ તથા મુસ્લિમ સમાજના અગ્રણી અસલમ સાયકલવાલા વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં આક્ષેપ કરાયો હતો કે અસલમ સાયકલવાલા ભાજપ અને સરકાર દ્વારા લેવાયેલા CAA, NRC, UCC તેમજ વક્ફ કાયદા સંબંધી નિર્ણયોનો વિરોધ કરે છે. પોલીસ કમિશનરે આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનને તપાસ સોંપતા, નિવેદન નોંધાવવા માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા અને અસલમ સાયકલવાલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો રાંદેર પોલીસ મથકે પહોંચ્યા હતા. 'પોલીસનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે' પોલીસ સ્ટેશને હાજરી આપ્યા બાદ અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને વક્ફ બોર્ડની ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવતા લોકોને દબાવવા માટે પોલીસનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. CAA, NRC કે વક્ફ બિલનો વિરોધ કરવો એ બંધારણીય અધિકાર છે. અમે કોઈનાથી ડરવાના નથી અને સત્ય માટેની લડત ચાલુ રાખીશું. 'પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવાનું રાજકારણ' બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કહ્યું કે, ભાજપ વાણી સ્વાતંત્ર્ય અને બંધારણીય હકોનું હનન કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ પર ખોટી ફરિયાદો કરાવીને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવાનું રાજકારણ રમાઈ રહ્યું છે. અમને પોલીસ સ્ટેશન કે કોર્ટમાં બોલાવશે તો પણ અમે કાયદાકીય રીતે લડીશું, કારણ કે કોંગ્રેસ હંમેશા છેવાડાના માણસ અને બંધારણના રક્ષણ માટે કટિબદ્ધ છે.
Read full article on Divya Bhaskar