top
અંબાપુર કેનાલમાં મા-દીકરીએ ઝંપલાવ્યું:ફાયર ટીમે CPR આપી માતાનો જીવ બચાવ્યો, 17 વર્ષીય પુત્રીનું મોત
ગાંધીનગર નજીક આવેલા અંબાપુર સ્થિત નર્મદા મુખ્ય કેનાલમાં આપઘાત કરવાના ઇરાદે મા-દીકરીએ ઝંપલાવ્યું. આ ઘટનાની તાત્કાલિક જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર જવાનોએ કેનાલમાંથી માતાને સમયસર જીવિત બહાર કાઢી તાબડતોબ સીપીઆર (CPR) આપતાં તેમનો શ્વાસ પાછો આવ્યો હતો અને ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે તેમની 17 વર્ષની માસૂમ સગીર પુત્રીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ભાઈના ઘરેથી નીકળ્યા બાદ મા-દીકરી કેનાલે પહોંચ્યા પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં આવેલી મામુ પઠાણની ચાલીમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા વિધવા મંજુબેન વિજયભાઈ પટણી પોતાની 17 વર્ષીય દીકરી રોશની સાથે બાપુનગર ખાતે રહેતા ભાઈના ઘરે ગયા હતા. આજે સવારે આશરે 7:00 વાગ્યાની આસપાસ બંને ત્યાંથી નીકળ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી પોતાના ઘરે ન પહોંચતાં ચિંતિત પરિજનોએ તેમની સઘન શોધખોળ શરૂ કરી હતી. પોલીસ કોન્સ્ટેબલે જાણ કરતાં ફાયર ટીમે CPR આપી માતાને બચાવ્યા અંબાપુર કેનાલ પાસે 2 મહિલાઓ પાણીમાં ડૂબી રહી હોવાની બાબત ધ્યાને આવતાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈએ તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરગાસણ ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ અધિકારીઓ સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે અથાક પ્રયાસો કરીને મંજુબેનને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા અને સમયસૂચકતા વાપરી તુરંત જ CPR આપવાનું શરૂ કર્યું હતું, જેના કારણે મંજુબેન પુનઃ શ્વાસ લેતા થયા હતા. જોકે તેમની દીકરી રોશની પટણીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. માતા સિવિલમાં સારવાર હેઠળ, અડાલજ પોલીસે તપાસ હાથ ધરી બનાવની જાણ થતાં અડાલજ પોલીસ મથકના ASI વિશાલભાઈ જયંતિલાલ સહિતનો પોલીસ કાફલો કેનાલ પર પહોંચી ગયો હતો. ગંભીર હાલતમાં મંજુબેનને પ્રાથમિક સારવાર માટે અડાલજ PHC અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, મંજુબેનના પતિ વિજયભાઈનું અગાઉ નિધન થઈ ચૂક્યું છે અને પરિવારમાં રોશની ઉપરાંત અન્ય 2 દીકરાઓ છે. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા, પરંતુ આપઘાતના પગલાં પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા માતાનું સત્તાવાર નિવેદન નોંધાયા બાદ જ સમગ્ર ઘટના પરથી રહસ્યનો પડદો ઊંચકાશે.
Read full article on Divya Bhaskar