top
ભાજપ યુવા નેતા જય દલાલ હત્યા કેસ:માસ્ટર માઇન્ડ 21 ગુના ધરાવતો મન્યા ડુક્કર, જેલમાં બંધ બારકુએ આપ્યા હતા હથિયાર
સુરતના ઉધના વિસ્તારમાં ભાજપ યુવા નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાયેલી ચકચારી હત્યા પાછળ અસલી માસ્ટરમાઇન્ડ કોણ હતો, તેનો સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટો પર્દાફાશ કર્યો છે. આ નિર્મમ હત્યાની સમગ્ર સોપારી અને ષડયંત્ર ઘડનારો મુખ્ય સૂત્રધાર કુખ્યાત હિસ્ટ્રીશીટર સાગર ઉર્ફે નીતિન ઉર્ફે મન્યા ડુક્કર ઉર્ફે એમ.ડી. સંતોષભાઈ સોનવણે હોવાનું સામે આવ્યું છે. જય દલાલની જાહેરમાં કરાયેલી હત્યા બાદથી જ આ માસ્ટરમાઇન્ડ ફરાર થઈ ગયો હતો, જેને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉધનામાં જાહેરમાં કરાઈ હતી યુવા નેતાની ક્રૂર હત્યા ગત 18 મેના રોજ ઉધના રોડ નંબર 6 પર આવેલી ભંગારની દુકાન નજીક ભાજપ યુવા નેતા જય નગીનભાઈ દલાલ (ઉં.વ. 21) પર કિશન ઉર્ફે ચકલી પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી નામના શખ્સોએ હુમલો કર્યો હતો. જૂની અદાવત અને આયોજનબદ્ધ કાવતરા અંતર્ગત જય દલાલ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી ઘટનાસ્થળે જ પતાવી દેવાયો હતો. ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યા અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને અત્યાર સુધીમાં અલગ-અલગ 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. છત્રપતિ સંભાજીનગરમાં ફિલ્મી ઢબે મન્યા ડુક્કરની ધરપકડ હત્યાની ગંભીરતાને જોતાં સુરત ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમો છેલ્લા 1 મહિનાથી ગુજરાત બહાર અલગ-અલગ રાજ્યોમાં મન્યા ડુક્કરની શોધખોળ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિરથી કાગઝીપુરા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર પોલીસે વોચ ગોઠવી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય માર્ગ પર ફિલ્મી ઢબે ઘેરાબંધી કરીને વોન્ટેડ માસ્ટરમાઇન્ડ સાગર ઉર્ફે મન્યા ડુક્કરને ઝડપી લીધો હતો. જેલમાં બંધ બારકુ પાસેથી મળ્યું હતું હથિયાર પોલીસ પૂછપરછમાં આરોપી મન્યા ડુક્કરે જણાવ્યું હતું કે, આશરે 6-7 મહિના અગાઉ કુખ્યાત જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘે તેને દેશી બનાવટની લોડેડ પિસ્તોલ આપી હતી. આ પિસ્તોલ તેણે પોતાના મિત્ર પ્રિતેશ જ્ઞાનેશ્વર સોનવણે (ઉં.વ. 18, રહે. ડિંડોલી)ને સાચવવા આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને પ્રિતેશ પાસેથી 1 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધી પ્રિતેશ અને જેલમાં બંધ બારકુ વાઘ સામે પણ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. માસ્ટરમાઇન્ડ સામે 21થી વધુ ગંભીર ગુના, 2 વાર ગુજસીટોક પકડાયેલો મુખ્ય આરોપી સાગર ઉર્ફે મન્યા ડુક્કર સુરત શહેરનો કુખ્યાત અને રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અગાઉ ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ અને મારામારી સહિત કુલ 21થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેના પર અગાઉ 2 વખત સંગઠિત અપરાધ નિવારણ ધારા (ગુજસીટોક) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. આ ઉપરાંત હથિયાર સપ્લાય કરનાર બારકુ વાઘ સામે પણ 20થી વધુ ગુના નોંધાયેલા છે અને તે હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જોઈન્ટ સીપી કરનરાજ વાઘેલાનું સત્તાવાર નિવેદન ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ સીપી ડૉ. કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા જય દલાલ હત્યા કેસની ગંભીરતાને ધ્યાને રાખીને અધિક પોલીસ કમિશનર સેક્ટર-1, ડીસીપી ઝોન-2 અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમો કામે લગાડવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પષ્ટ થયું હતું કે સાગર ઉર્ફે નીતિન સોનવણે ઉર્ફે મનિયો ડુક્કર આ હત્યાના કાવતરાનો મુખ્ય ષડયંત્રકાર હતો. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સતત વર્કઆઉટ કરી તેને છત્રપતિ સંભાજીનગર નજીકથી દબોચી લીધો છે. તેની કબૂલાતના આધારે પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે તેના સાગરીત પ્રિતેશને પણ પકડ્યો છે. લાજપોર જેલમાં બંધ બારકુ વાઘની પણ ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવામાં આવશે અને જય દલાલ મર્ડર કેસમાં કડકમાં કડક કાયદેસર કાર્યવાહી સુનિશ્ચિત કરાશે."
Read full article on Divya Bhaskar