politics
ભારતીય મજદૂર સંઘ શ્રમિકોના પ્રશ્નો ઉકેલવા મેદાને:આશા વર્કરને આરોગ્ય વિભાગમાં કાયમી કરવા માગ, કલેક્ટર મારફત સરકારને આવેદન
ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘે વિવિધ ક્ષેત્રોના શ્રમિકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર મારફતે ગુજરાત સરકારને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડી, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા કામદારોએ રજૂઆત કરી હતી કે, આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોવાથી તેમને આરોગ્ય વિભાગમાં કાયમી કરવા જોઈએ. આ ઉપરાંત, તેમને લઘુતમ વેતન આપવા, ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા અને તાત્કાલિક રૂ. 5 હજારનો સ્માર્ટફોન આપવાની પણ માંગ કરાઈ છે. આંગણવાડી કર્મચારીઓ માટે લઘુતમ વેતન, દર વર્ષે 10 ટકાનો પગાર વધારો, પ્રમોશન તથા ખાલી જગ્યાઓ ભરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંઘે આંગણવાડીની કામગીરી સિવાય અન્ય કોઈ કામગીરી ન સોંપવાની પણ માંગ કરી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને 'શાળા પોષણ સહાયક' તરીકે જાહેર કરી લઘુતમ વેતન સહિતના લાભો આપવા અને માસિક લઘુતમ રૂ. 30 હજાર વેતન આપવાની રજૂઆત કરાઈ છે. અકસ્માતની સ્થિતિમાં કર્મચારીના પરિવારને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ રૂ. 4 લાખની સહાય, 62 વર્ષની ઉંમર બાદ નિવૃત્તિ તથા સામાજિક સુરક્ષાની સુવિધા આપવા પણ માંગ કરવામાં આવી છે. દરેક શાળાના રસોઈ શેડ માટે હાઈજેનિક કીટ ઉપલબ્ધ કરાવવાની પણ રજૂઆત કરાઈ છે. બાંધકામ શ્રમિકોના પ્રશ્નોમાં બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી કરવા અને માત્ર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી બંધ કરવાની માંગ મુખ્ય હતી. બાંધકામના નામે વસૂલાતી સેસની રકમ બાંધકામ બોર્ડના ખાતામાં જ જમા કરવા તેમજ બોર્ડમાં શ્રમિકોના પ્રતિનિધિઓની સમયસર નિમણૂક કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર તથા બોર્ડ, કોર્પોરેશન અને નિગમોમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે પાંચ વર્ષના બદલે બે વર્ષની સેવા બાદ નિયમિતીકરણની પ્રક્રિયા કરવાની માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar