top
Bharuch: હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો ભવ્ય વિજય
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી પ્રસિદ્ધ પંડવાઈ શુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીમાં મતદાન યોજાય તે પહેલાં જ મંત્રી ઈશ્વરસિંહ પટેલની 'સહકાર પેનલ' એ પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું છે. ફેક્ટરીની કુલ 16 ઝોનની બેઠકો પૈકી 14 ઝોનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવારી ન રહેતાં તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ભરૂચના સહકારી જગતમાં મોટી ખબર 14 બેઠકો પર બિનહરીફ જીત સુનિશ્ચિત થતાં જ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગરથી સીધા પંડવાઈ શુગર ફેક્ટરી ખાતે આવી પહોંચ્યા હતા. તેમના આગમન સાથે જ સહકારી જગતના અગ્રણીઓ અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને ઈશ્વરસિંહ પટેલને ફૂલહાર પહેરાવીને જીતનો આગોતરો ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રના અનેક દિગ્ગજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 16 માંથી 14 ઝોન બિનહરીફ થઈ જતાં હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બાકી રહેલી માત્ર 2 બેઠકો પર આગામી 5 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મંત્રી ઈશ્વરસિંહ પટેલનું નિવેદન વિજયોત્સવ દરમિયાન ખેડૂતો અને સહકારી આગેવાનોને સંબોધતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, "પંડવાઈ શુગર ફેક્ટરી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોએ અમારી પેનલ પર જે અવિરત વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. આગામી દિવસોમાં પણ ફેક્ટરીનું સંચાલન વધુ સુચારુ બનાવીને ખેડૂતોને તેમની શેરડીના પાકના હજુ પણ વધુ સારા અને મહત્તમ ભાવ મળી રહે તે માટે મારી પેનલ સંપૂર્ણપણે કટિબદ્ધ રહેશે." આ પણ વાંચો: India: વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે 31 ઓગસ્ટથી શરૂ થવાની આશા, 8 કલાકની સફર હવે 4 કલાકમાં પૂરી થશે
Read full article on Sandesh