politics
ભરૂચમાં AAPનું ખેડૂત સંમેલન:ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહારવીજ લાઇન માટે જમીન ઉપયોગ સામે ચાર ગણા વળતરની માંગ
ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં ખેડૂતોની સંમતિ અને યોગ્ય વળતર વિના વીજ કંપનીઓ દ્વારા વીજ થાંભલા ઊભા કરવા તથા હાઈટેન્શન વીજ લાઈનો નાખવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે ખેડૂતોએ પણ સંમેલનમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સંમતિ વિના જમીનનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ મીડિયા સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની આજીવિકાનો મુખ્ય આધાર એવી જમીન પર તેમની સંમતિ કે યોગ્ય વળતર વિના હાઈટેન્શન વીજ લાઈનો નાખવામાં આવી રહી છે. જૂના કાયદાઓનો સહારો લઈને પોલીસ અને વહીવટી તંત્રના બળે ખેડૂતો પર દબાણ કરવામાં આવતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સરકાર-ઉદ્યોગપતિની મિલીભગતનો ઈસુદાન ગઢવીનો આક્ષેપ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચે મિલીભગત હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, વીજ કંપનીઓ પોતાના નફા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ ખેડૂતોને તેમની જમીનના ઉપયોગ બદલ યોગ્ય વળતર મળતું નથી. તેમણે સરકારને ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી. જમીનનું ચાર ગણું વળતર અથવા નફામાં હિસ્સાની માંગ આમ આદમી પાર્ટીએ વીજ લાઈનો માટે ઉપયોગમાં લેવાતી જમીનના બજાર ભાવના ચાર ગણાં વળતરની માંગ કરી હતી. ગઢવીએ જણાવ્યું હતું કે વીજ લાઈનો આગામી 25 વર્ષ સુધી રહેવાની હોવાથી જમીનની ભવિષ્યની કિંમતને પણ વળતર નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવી જોઈએ. આ ઉપરાંત ખેડૂતોને દર મહિને નિશ્ચિત ભાડું અથવા વીજ કંપનીના નફામાં યોગ્ય હિસ્સો આપવાનો વિકલ્પ પણ તેમણે સૂચવ્યો હતો. ચૈતર વસાવા અને મનસુખ વસાવા મુદ્દે પણ પ્રહાર કર્યા ભરૂચ સહિતના આદિવાસી વિસ્તારોના પ્રશ્નો અંગે ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પણ આક્ષેપો કર્યા હતા. ચૈતર વસાવાના મુદ્દે તેમણે આરોપ લગાવ્યો હતો કે આદિવાસીઓનો અવાજ ઉઠાવનાર ચૈતર વસાવાને ભાજપ સરકારે ષડયંત્રપૂર્વક જેલમાં ધકેલ્યા છે. બીજી તરફ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતાં ગઢવીએ કહ્યું હતું કે તેઓ માત્ર દેખાડો કરી રહ્યા છે. જો તેઓ ખરેખર ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નો માટે લડતા હોત તો ચૈતર વસાવાની જેમ જેલમાં હોત. ખેડૂતોના હક માટે લાઠીઓ ખાવા અને જેલ જવા તૈયાર : ઈસુદાન ઈસુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતો, મધ્યમ વર્ગ અને જનતાને એક થવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખેડૂતોના હક માટે લાઠીઓ ખાવા અને જેલમાં જવા માટે પણ તૈયાર છે. આગામી સમયમાં રાજ્યના 54 લાખ ખેડૂતો એક થઈને સરકાર સામે જનઆંદોલન ઊભું કરશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે એવો દાવો પણ તેમણે કર્યો હતો.
Read full article on Divya Bhaskar