top
ભરૂચના મેળામાં સફાઈ ચાર્જ વસૂલાત પર વેપારીઓએ સવાલ ઉઠાવ્યા:પાલિકા અધિકારીએ આક્ષેપો ફગાવી કહ્યું- નિયમ મુજબ વસૂલાત
ભરૂચ શહેરમાં મેઘરાજા અને છડી નોમના ત્રણ દિવસીય મેળાનો માહોલ જામ્યો છે. પાંચબત્તીથી સોનેરી મહેલ સુધીના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણી રહ્યા છે. આ બધા વચ્ચે મેળામાં સ્વચ્છતા જાળવવાના મુદ્દે નગરપાલિકા અને ખાણીપીણીના સ્ટોલ ધારકો વચ્ચે વિવાદ થયો છે. પાલિકા મેળામાં ખાણીપીણીના સ્ટોલ લગાવનારા વેપારીઓ પાસેથી સ્વચ્છતા અને સફાઈના નામે ચાર્જ લઈ રહી છે. કેટલાક વેપારીઓએ આનો વિરોધ કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું આ ચાર્જ નિયમ મુજબ લેવાય છે કે નહીં. વેપારીઓએ આ અંગે સ્પષ્ટતા માંગી છે. વેપારીઓના આક્ષેપો પર ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે મેળામાં ખાણીપીણીના સ્ટોલ ધારકો પાસેથી સ્વચ્છતા અને સફાઈ માટે નિયમ મુજબ જ ચાર્જ લેવાય છે. તેમણે વેપારીઓના આક્ષેપોને ખોટા ગણાવ્યા. મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવી જરૂરી છે. આ માટે પાલિકાએ સ્ટોલ ધારકોને પણ જવાબદારી સોંપી છે. વેપારીઓને તેમના સ્ટોલ પાસે કચરાપેટી રાખવા અને ભીના-સૂકા કચરાને અલગ રાખવા સૂચના અપાઈ છે. તંત્રએ જણાવ્યું કે મેળામાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર પાલિકાની જ નહીં, પણ વેપારીઓ અને મુલાકાતીઓની પણ છે. હવે ચાર્જ વસૂલાત પર ઉઠેલા સવાલો વચ્ચે પાલિકાની કામગીરી અને મેળાની સ્વચ્છતા વ્યવસ્થા પર સૌની નજર રહેશે.
Read full article on Divya Bhaskar