top
ભવનાથમાં ઘેડિયા કોળી સમાજની વાડીમાં માથાકૂટ:જુનાગઢના ભવનાથમાં વાડીના મેનેજર પર શખ્સ દ્વારા હુમલો, બેરિકેડ અને ડસ્ટબિન વડે હુમલો, વાડીની ઓફિસમાં તોડફોડ કરી રજિસ્ટર ફાડી નાખ્યું
જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલી ઘેડિયા કોળી સમાજની વાડીમાં સવારે અચાનક ભારે બબાલ સર્જાઈ હતી. વાડીના મેનેજર રામજી બાલસ પર એક અજાણ્યા શખ્સે વહેલી સવારે જાનલેવા હુમલો કર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. હુમલાની આ ઘટના બાદ ઈજાગ્રસ્ત મેનેજરને ત્વરિત ઈમરજન્સી સારવાર માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે ભવનાથ વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા જતા આતંક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ પોલીસની સુરક્ષા કામગીરી સામે પણ સ્થાનિક સ્તરે ગંભીર સવાલો ઉભા થયા છે. મેનેજર રામજી બાલસે જણાવ્યું હતું કે અગાઉના દિવસે બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં ડેલવાડાનો એક ભાઈ વાડીમાં આવ્યો હતો. તેઓ સમાજના જ સભ્ય જેવા લાગતા હતા, પરંતુ વાડીના નિયમ મુજબ એન્ટ્રી રજિસ્ટરમાં તેમની કોઈ નોંધ ન હોવાથી મેનેજરે તેમને પ્રમુખ અશોકભાઈ સાથે વાત કરવા કહ્યું હતું. ત્યારબાદ તે શખ્સે પ્રમુખ સાથે ફોન પર વાતચીત કરી હતી અને ઉપરના માળે ગયા પછી ત્યાંથી અચાનક જતા રહ્યા હતા. આ બાબત ત્યાં જ પૂરી થઈ ગઈ હોવાનું મેનેજરે વિચાર્યું હતું. પરંતુ બીજા દિવસે સવારે આશરે 10:30 વાગ્યાના સમયે તે શખ્સ ફરીથી એકલો વાડી પર આવ્યો હતો. તે સમયે રામજીભાઈ ઓફિસની અંદર હતા. શખ્સે આવીને દરવાજો ખખડાવતા જ રામજીભાઈ જેવા બહાર નીકળ્યા કે તરત તે શખ્સે તેમનો કાઠલો પકડીને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ આરોપીએ ત્યાં પડેલી રોડ બેરિકેડ કરવાની લોખંડની ઘોડી ઉપાડીને મેનેજરના માથાના ભાગે મારી હતી. એટલું જ નહીં, કચરો ભરવાનું મોટું ડસ્ટબિન પણ કમરના ભાગે જોરથી ફટકારી દીધું હતું, જેના કારણે મેનેજરને માથા અને કમરમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોર શખ્સે ત્યારબાદ વાડીની ઓફિસમાં ઘૂસીને ભારે તોડફોડ મચાવી હતી. આરોપી ઓફિસમાં રાખેલું મુખ્ય એન્ટ્રી રજિસ્ટર આખું ફાડીને પોતાની સાથે લઈ ગયો હતો અને અંદર લાગેલી હેલોજન એલઈડી લાઈટો સહિતની મિલકતોને નુકસાન પહોંચાડીને ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ સખત દુખાવો ઉપડતા મેનેજરે પ્રાઇવેટ રિક્ષા ભાડે કરીને હોસ્પિટલ પહોંચીને હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે સમગ્ર બનાવનું વિવરણ આપી લેખિત અરજી કરી હતી. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલી પોલીસે ભોગ બનનાર મેનેજરનું સ્ટેટમેન્ટ લઈ આગળની કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મેનેજરે પોલીસ સમક્ષ ગુનાહિત કૃત્ય કરનાર સામે કાયદાના નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરી પૂરો ન્યાય અપાવવાની માંગ કરી છે. સમગ્ર ઘટના પાછળનું ચોક્કસ મુળ કારણ હજી અકબંધ છે, ત્યારે પોલીસે વાડીની ઓફિસમાં થયેલી તોડફોડ અને મેનેજર પર થયેલા હુમલા મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar