politics
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ:સભ્યોને પંચાયતી રાજના નિયમો અને વહીવટી પ્રક્રિયાઓથી માહિતગાર કરાયા
સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ સંભાળ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ નવનિર્વાચિત સભ્યોને પંચાયતી રાજના નિયમો અને વહીવટી પ્રક્રિયાઓથી માહિતગાર કરી જિલ્લાના વિકાસ કાર્યોને વેગવંતા અને પારદર્શક બનાવવાનો હતો. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ પોતાના વિસ્તારના પ્રશ્નો સમજવા અને પંચાયતી રાજના નિયમો શીખવા એ નૈતિક ફરજ છે. તેમણે ઉદાહરણ આપતાં ઉમેર્યું કે, મંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓએ પણ વહીવટી કામગીરી સમજવા ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો, તેથી સૌએ આ તાલીમને ગંભીરતાથી લેવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન વિશે વાત કરતાં મંત્રીએ કહ્યું કે, ગામડું મજબૂત બનશે તો જ ગુજરાત અને શહેરો મજબૂત બનશે. તેમણે પ્રતિનિધિઓને અધિકારીઓ સાથે સંઘર્ષ ટાળીને હકારાત્મક અભિગમ સાથે કામ કરવા તેમજ પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો. મહિલા પ્રતિનિધિઓનો ઉત્સાહ વધારતાં તેમણે જણાવ્યું કે, રાજકારણમાં સૂઝબૂઝ વધુ અગત્યની છે. સાચા અને પ્રજાલક્ષી કામો માટે સરકાર હંમેશા ગ્રાન્ટ ફાળવવા તત્પર છે. તેમણે સૌને સાથે મળીને લોકોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી સુરેન્દ્રનગર જિલ્લાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ પાસે પાંચ વર્ષની ટર્મની મર્યાદા હોય છે, ત્યારે સમય વેડફ્યા વિના જનતાને સીધો લાભ મળે અને સામૂહિક વિકાસ થાય તેવા કામોને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે જૂની માનસિકતામાંથી બહાર આવીને વ્યક્તિગત લાભના બદલે સમાજને વ્યાપક લાભ થાય તેવા કાર્યો કરવા અનુરોધ કર્યો હતો. સાંસદ ચંદુ શિહોરાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, લોકસેવા અને શ્રેષ્ઠ વહીવટ માટે સરકારી નિયમો, પરિપત્રો અને પંચાયત ધારાનું પૂરતું જ્ઞાન હોવું અત્યંત અનિવાર્ય છે. કાયદાની યોગ્ય જાણકારી હશે તો માત્ર સાર્થક સંવાદ દ્વારા વિસ્તારના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડિયા, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ સહિત જિલ્લા - તાલુકા કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar