politics
દાહોદ કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ:સ્વાતંત્ર્ય પર્વ, વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ, સમયસર કેસ નિકાલના આદેશ
દાહોદ જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે પડતર કેસોનો ઝડપથી અને સંતોષકારક નિકાલ લાવવા સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. બેઠકની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલે આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણી અને તિરંગા યાત્રાના આયોજન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે અને નાગરિકો ઉત્સાહભેર જોડાઈ શકે તે માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંકલન બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પોતપોતાના વિભાગીય કાર્યો અને સિદ્ધિઓની વિગતો રજૂ કરી હતી. આ સમીક્ષા દરમિયાન જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ, ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી, જિલ્લા પુરવઠા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તકેદારી મોનિટરિંગ સમિતિ, રોડ સેફ્ટી કમિટી તેમજ એસીબી દ્વારા રજૂ થતા કેસોની સ્થિતિની સઘન ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર સુરભિ ગૌતમે તમામ કચેરીઓમાં અરજદારોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે અને જનહિતના કાર્યોમાં કોઈ વિલંબ ન થાય તેની ખાસ તકેદારી રાખવા તાકીદ કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ગમાબેન મોહનિયા, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ધારાસભ્ય મહેશ ભુરિયા, નાયબ પોલીસ અધિક્ષકો, નાયબ વન સંરક્ષકો, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar