top
સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી:DCP નકુમ સામે નિષ્પક્ષ તપાસ અંગે અદાલતે ઉઠાવ્યા સવાલ, સરઘસ કાઢી માર મારવાના કેસમાં વિરુદ્ધ રિપોર્ટ આવ્યાની સરકારની રજૂઆત
સુરતના નાસિરનગર ખાતે કરાયેલા વિવાદિત ડિમોલિશન પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હાઈકોર્ટે તત્કાલીન ડીસીપી નકુમની ભૂમિકા અને તપાસ પદ્ધતિ સામે આકરા પ્રશ્નો કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, ન્યાયિક પ્રક્રિયામાં તપાસ માત્ર નિષ્પક્ષ હોવી એટલી જ પૂરતી નથી, પરંતુ તપાસ સંપૂર્ણપણે તટસ્થ થઈ રહી છે તે દેખાવું પણ અનિવાર્ય છે. ઉચ્ચ પોલીસ અધિકારી સામે તપાસ ચાલતી હોય ત્યારે તેમના જ તાબાના કર્મચારીઓ નિવેદન આપે તે સંજોગોમાં તપાસની પારદર્શિતા સામે સવાલ ઉઠવો સ્વાભાવિક છે. આ સંવેદનશીલ કેસની આગામી સુનાવણી હવે 28 સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે. જાહેરમાં માર મારવાના કેસમાં DCP સામે રિપોર્ટ આવ્યાનો ઘટસ્ફોટ સુનાવણી દરમિયાન કોર્ટની કડક ટિપ્પણી સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, સુરતમાં આરોપીઓને જાહેરમાં ઢોરમાર મારવા અને જાહેરમાં સરઘસ કાઢવાના પ્રકરણમાં ડીસીપી વિરુદ્ધ પહેલેથી જ એક સ્વતંત્ર તપાસ ચાલી રહી છે. આ તપાસમાં અધિકારી વિરુદ્ધ રિપોર્ટ આવી ચૂક્યો છે અને તે રિપોર્ટ હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ રજૂ કરવાનો બાકી છે. સરકારે દાવો કર્યો હતો કે, આ રિપોર્ટ સાબિત કરે છે કે વહીવટી તંત્ર કોઈપણ પૂર્વગ્રહ વિના નિષ્પક્ષ પગલાં લેવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વિસ્થાપિતો માટેના વૈકલ્પિક આવાસ બિસ્માર હોવાનો આક્ષેપ પીડિત પરિવારોના પુનર્વસન અંગે કોર્ટે સુરત મહાનગરપાલિકાને સવાલ કર્યો હતો કે, અસરગ્રસ્તો માટે વૈકલ્પિક રહેઠાણની શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અરજદારો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે, તંત્ર દ્વારા જે આવાસો ફાળવવામાં આવી રહ્યા છે તે અત્યંત જર્જરિત અને ખરાબ હાલતમાં છે. જોકે, પાલિકા તરફથી આ આક્ષેપોને નકારી કાઢતાં જણાવાયું હતું કે આ વાત તદ્દન પાયાવિહોણી છે અને તેઓ સચ્ચાઈ પુરવાર કરવા ફોટોગ્રાફ્સ સાથેનું વિગતવાર સોગંદનામું કોર્ટમાં રજૂ કરશે. છેલ્લા કર્મચારી સુધી જવાબદારી નક્કી કરવા હાઈકોર્ટનો નિર્દેશ આ સુનાવણી દરમિયાન સુરત મહાનગરપાલિકા વતી હાજર રહેતા એડવોકેટ જનરલ કેસમાંથી મુક્ત થયા હોવાની વિગત સામે આવી હતી. ત્યારે હાઈકોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવતા ટિપ્પણી કરી હતી કે આ ડિમોલિશનમાં સુરતના જે પણ સરકારી બાબુઓ કે કર્મચારીઓએ ગેરકાયદે કૃત્ય કર્યું હોય તેવા છેવાડાના કર્મચારી સુધી કાયદાકીય જવાબદારી નક્કી થવી જોઈએ. કોર્ટે નોંધ્યું કે સમગ્ર ઘટના કોઈ ચોક્કસ પૂર્વઆયોજિત ષડયંત્ર (ડિઝાઇન) હતી કે પછી અમલદારોના વધુ પડતા ઉત્સાહનું પરિણામ હતું, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે અને અસરગ્રસ્તોનું પુનર્વસન કરવું એ પાલિકાની પ્રાથમિક ફરજ છે. જહાંગીરપુરાના મકાનો બતાવી છેલ્લી ઘડીએ બદલી નાખ્યા પીડિત પરિવારો વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા શરૂઆતમાં તેમને જહાંગીરપુરા વિસ્તારમાં સારા અને રહેવાલાયક આવાસો બતાવવામાં આવ્યા હતા, જેના માટે તેઓ સંમત પણ થઈ ગયા હતા. પરંતુ બાદમાં વહીવટી તંત્રે અચાનક નિર્ણય બદલીને અન્ય વિસ્તારમાં સાવ રહેવા અયોગ્ય મકાનો આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે તંત્ર સમક્ષ સ્પષ્ટતા માંગી હતી કે, હાલ પૂરતી પીડિતોને કોઈ ચોક્કસ વૈકલ્પિક છત મળી રહી છે કે નહીં, જ્યારે તે વ્યવસ્થા કાયમી ધોરણે કેવી અને કેટલી યોગ્ય છે તેનો આખરી નિર્ણય કોર્ટ આગળની સુનાવણીમાં કરશે.
Read full article on Divya Bhaskar