top
ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પોલીસની લાલ આંખ:એટ્રોસિટી અને દુષ્પ્રેરણા હેઠળ 4 સિનિયર ડૉક્ટરો સામે ગાળિયો કસાયો, ગમે તે ક્ષણે ધરપકડ
સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં આરોપી ચાર સિનિયર તબીબો સામે હવે ધરપકડની તલવાર લટકી રહી છે. રેગિંગ કેસમાં ખટોદરા પોલીસે ચારેય ડૉક્ટરોને નોટિસ પાઠવી હતી, જે બાદ ડૉ. અનુજ મહેશ્વરી અને ડૉ. દિક્ષિતા ઘેવરીયા હાજર થયા હતા. જોકે, અન્ય બે તબીબો ડૉ. નિરાલી વસાવે અને ડૉ. હિના ભૂત નોટિસ મળ્યા બાદ પણ પોલીસ મથકે હાજર થયા નહોતા. આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગંભીર ગુનો દાખલ થઈ ચૂક્યો હોવાથી, નિવેદન આપવા જતાં જ અટકાયત થઈ જશે તેવા ભયથી તેઓ પોલીસ સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યા હોવાનું પોલીસ માની રહી છે. મૃતક હર્ષના પિતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ચારેય તબીબો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હવે આ કેસમાં કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. પોલીસ ગમે તે ક્ષણે આરોપી તબીબોના રહેઠાણે પહોંચીને તેમની ધરપકડ કરી શકે છે, જેને પગલે સમગ્ર કેસમાં ધરપકડના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ કર્યો હતો આપઘાત નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાએ ગત 9 ઓગસ્ટ 2026ના રોજ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ બાદ સમગ્ર મેડિકલ કેમ્પસમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની ગંભીરતાને જોતાં ખટોદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જાતિગત ટિપ્પણી, અતિશય કામનું ભારણ અને રેગિંગનો આરોપ મૃતક ડૉ. હર્ષના પિતા ડૉ. સુભાષચંદ્ર પંડ્યાએ આરોપ લગાવ્યો છે કે તેમનો પુત્ર અનુસૂચિત જાતિ (SC)નો હોવાની જાણ થતાં ચારેય સિનિયર રેસિડેન્ટ (R-2) તબીબો—ડૉ. નીરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દિશીતા ગેવરીયા અને ડૉ. હીના ભૂત દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જાહેરમાં અપમાનિત કરી, જાતિગત ટિપ્પણીઓ કરી વધુ પડતું કામ સોંપી સતત રેગિંગ અને શોષણ કરવામાં આવતું હતું, જેનાથી કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.
Read full article on Divya Bhaskar