ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
Dhoraji News: ધોરાજીથી જૂનાગઢ તરફ જઈ રહેલા બે બાઇક ચાલકો વચ્ચે રસ્તામાં ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો હિંસક મારપીટ સુધી પહોંચી ગયો હતો. તોરણીયાના પાટિયા પાસે બનેલી આ ઘટનામાં અજાણ્યા શખ્સોના ઢોર મારને કારણે ધોરાજીના એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેનો ભાઈ પણ ઇજાગ્રસ્ત થયો છે.
મળતી વિગતો અનુસાર, ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતો જયેશ વિંઝુડા નામનો યુવક તેના ભાઈ રાજ વિંઝુડા સાથે બાઇક પર ધોરાજીથી જૂનાગઢ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ધોરાજી-જૂનાગઢ રોડ પર આવેલા તોરણીયાના પાટિયા નજીક બાઇક ઓવરટેક કરવા બાબતે અન્ય એક બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વધી જતાં અજાણ્યા ઇસમોએ જયેશ અને તેના ભાઈ રાજ પર હુમલો કરી દીધો હતો.
મૃતકના ભાઈ રાજ વિંઝુડાના આરોપ મુજબ, અજાણ્યા શખ્સોએ જયેશને માથાના ભાગે અને શરીરે ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ રાજને પણ માર માર્યો હતો. ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયેશને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ સમગ્ર મારામારીનો બનાવ જૂનાગઢ જિલ્લા પોલીસની હદમાં આવતો હોવાથી ધોરાજી પોલીસે આ અંગે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો મેળવીને તેને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મોકલવાની તજવીજ હાથ ધરી છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવશે. હાલમાં પોલીસે મૃતકના ભાઈના નિવેદનના આધારે તપાસ આગળ ધપાવી છે.
મહેસાણામાં ફાયરિંગને લઈને SPએ કરી કાર્યવાહી
તો બીજી તરફ મહેસાણા શહેરમાં એક જ દિવસમાં હત્યા અને ફાયરિંગની બે મોટી ઘટનાઓ સામે આવતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. ગુનાખોરી અને ગુંડારાજને નાથવામાં નિષ્ફળ નીવડેલા મહેસાણા B-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એ.આર. પટેલ સામે આખરે કાર્યવાહી કરાઈ હતી. મહેસાણા પોલીસ અધિક્ષક (SP)એ કડક વલણ અપનાવીને બદલીઓનો આદેશ આપ્યો હતો.
કાયદો-વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને મહેસાણા SPએ તાત્કાલિક અસરથી પોલીસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા. B-ડિવિઝન PI એ.આર. પટેલ ગુનાખોરી પર નિયંત્રણ ન લાવી શકતા તેમને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે. બહુચરાજીના PI એ.એન. ગઢવીની મહેસાણા B-ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા PI તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વીજાપુર પીઆઈની બહુચરાજી પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. જ્યારે વસાઈ PIને વિજાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.