top
દંતેશ્વરમાં યુવકની હત્યા કેસમાં બે આરોપીને પોલીસે દબોચ્યા:ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, બે ફરાર આરોપીની શોધખોળ; મેહુલ દરબારની છરીના ઘા મારી હત્યા કરી હતી
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં 12 ઓગસ્ટે મેહુલ ભરતસિંહ દરબારની હત્યા થઈ હતી. આ હત્યાના ગંભીર બનાવમાં મકરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ હાથ ધરી બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 12 ઑગસ્ટે મેહુલ પર છરીથી હુમલો કર્યો હતો શહેરના દંતેશ્વર વિસ્તારમાં તા.12 ઓગસ્ટના રોજ બપોરના સમયે મેહુલ ભરતસિંહ દરબાર (ઉં.વ.26) તથા અન્ય લોકો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મેહુલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મેહુલનું મોત થતાં સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે હત્યાના કેસમાં બે આરોપીને દબોચ્યા ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસને તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ માનવ ઉર્ફે કાંચો વીરબહાદુર ગોરખા (ઉં.વ.23), રહે.નવીનગરી, કલ્યાણનગર, કારેલીબાગ તથા પદમ ઉર્ફે ડાન્સર ગોપાલભાઈ અર્જુનભાઈ સોની (ઉં.વ.31), રહે. અમરશ્રદ્ધા સોસાયટી પાછળના વુડાના મકાન ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખીને જ્યાં મેહુલ પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી તે સ્થળે લઈ જવામાં આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન કરાયુ, બે ફરાર આરોપીની શોધખોળ પોલીસે આરોપીઓની હાજરીમાં ઘટનાક્રમ અંગેની વિગતો મેળવી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. હુમલો કઈ રીતે થયો, આરોપીઓની ભૂમિકા શું હતી અને ઘટનાસ્થળે કઈ રીતે સમગ્ર બનાવ બન્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હાલ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં અન્ય આરોપીઓની ભૂમિકા તેમજ હુમલા પાછળના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar