top
એચ. એ. કોલેજમાં સ્વામી વિવેકાનંદ સંવાદ મંચ શરૂ:યુવાનોને વિવેકાનંદના વિચારો સાથે જોડવાનો હેતુ, કુલપતિ અને કેન્દ્રના પ્રમુખ રહ્યા હાજર
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાં "એચ. એ. સ્વામી વિવેકાનંદ સંવાદ મંચ" નું ઉદ્ઘાટન કરાયું. આ સમારોહના અધ્યક્ષ ગુજરાત વિવેકાનંદ કેન્દ્રના પ્રમુખ ડૉ. કમલેશ ઉપાધ્યાય અને મુખ્ય મહેમાન તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે. સી. પોરીઆ હાજર રહ્યા હતા. ડૉ. ઉપાધ્યાયે પોતાના ભાષણમાં કહ્યું કે આજના યુવાનોએ વિવેકાનંદના વિચારો સમજવા જરૂરી છે. તેમને જીવનમાં ઉતારવાથી પ્રગતિ થાય છે. ડૉ. પોરીઆએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે, ખૂબ જ નાની ઉંમરમાં વિવેકાનંદે સમગ્ર ભારતમાં પદયાત્રા કરી હતી. તેમણે અમેરિકા, બ્રિટન અને યુરોપમાં દસ વર્ષથી વધારે સમય સુધી ભારતીય સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારતમાં દર્શાવેલ તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું કે આ મંચ સ્થાપવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિવેકાનંદના જીવન અને કાર્યો વિશે જાણકારી આપવાનો છે. આ સંદર્ભે ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વક્તવ્ય સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરીને તેમના સંદેશને યુવાનો સુધી પહોંચાડવામાં આવશે. તેમનો ઉદ્દેશ્ય કોલેજના વિદ્યાર્થીઓને વિવેકાનંદના વિચારો સાથે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત તથા ખડતલ બનાવવાનો પણ છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના પ્રોફેસર અલ્પા પાઘડલે કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી આ મંચમાં જોડાયા હતા.
Read full article on Divya Bhaskar